Publish Date: Fri, 18 May 2018 (14:19 IST)
Updated Date: Fri, 18 May 2018 (14:33 IST)
અમદાવાદની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે થયેલી તકરાર બાદ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખુલ્લા હાથે મારા-મારી થઇ હતી, ત્યારે જેલમાં પોલીસને કેદીઓ ઉપર હળવો લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી. જેમાં દસ જેટલા કેદીઓના ઇજા થઇ હોવાનું જાણવા મળે છે. જેલમાં આજે વકીલો મુલાકાતે ગયા ત્યારે આ હકીકત બહાર આવવા પામી છે. જો કે, જેલના સતાવાળાઓ કંઇપણ બોલવાના ઇન્કાર કરી રહ્યા છે. સાબરમતી જેલમાં બેરેક નંબર-૫માં બુધવારે કેદીઓમાં અંદર-અંદર બોલાચાલી થઇ હતી ત્યારે અચાનક કેદીઓએ છૂટા હાથની મારા-મારી કરતા દોડધામ મચી ગઇ હતી. જેલના પોલીસ કર્મચારીઓ આવીને કેદીઓ ઉપર લાકડીઓ વસરાવી દીધી હતી. જેમાં દસથી વધુ કેદીઓને નાની-મોટી ઇજાઓ પહોચી હતી.
ઇજાગ્રસ્ત કેદીઓને સારવાર માટે જેલમાં આવેલી હોસ્પિટલમાં લઇ જતા ત્યા એકસરે મશીન બંધ હતા. જો કે, જેલના ડોકટરોએ કેદીઓને પાટાપિંડી કરી પરત બેરેકમાં મોકલી દીધા હતા. જયારે જેલના સતાવાળાઓએ આખો મામલો દબાવી દીધો હતો. જો કે, જેલના કેદીઓની મુલાકાતે ગયેલા વકીલોએ બેરેક નંબર-૫ માં છુટાહાથની મારા-મારી અને પોલીસે લાઠીચાર્જ કર્યાની જાણ કરી હતી. જેના ઇજાગ્રસ્ત કેદીઓ તેમના વકીલ મારફતે ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરી છે.