Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Roti Daan - ‘માત્ર પાંચ રોટલી દ્વારા પણ હજારો લોકોના પેટનો ખાડો પૂરી શકાય છે’

Roti Daan -  ‘માત્ર પાંચ રોટલી દ્વારા પણ હજારો લોકોના પેટનો ખાડો પૂરી શકાય છે’
, મંગળવાર, 12 મે 2020 (11:57 IST)
‘અમે તો અમારા પરિવારના ભોજનની સાથે પાંચ-દસ રોટલી વધારે બનાવીએ છીએ, આ કંઈ ભારણ થોડું કહેવાય! આ તો આપણી ફરજ કહેવાય. આજે આ મુશ્કેલીના સમયમાં કોઈને આટલીય મદદ કરી શકીએ, તો તેનાથી રૂડું બીજું શું હોઈ શકે!’
 
આ લાગણી છે, સુરતમાં રહેતાં પ્રીતિ શુક્લ અને તેમની આસપાસ રહેતાં તેમનાં જેવાં અન્ય મહિલાઓની. જેઓ પરપ્રાંતીયો અને વિસ્થાપિતો માટે દરરોજ પોતાના પરિવારની જરૂરિયાત ઉપરાંત વધુ પાંચ-દસ રોટલી બનાવીને અનેરો ‘રોટી યજ્ઞ’ કરી રહી છે. આ રીતે સમગ્ર શહેરમાંથી દરરોજ આશરે 1,50,000 રોટલી એકત્ર કરી વિસ્થાપિતો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવે છે. મહિલા સશક્તીકરણના માધ્યમથી આ મહાયજ્ઞ શરૂ કર્યો છે, સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ સમાજસેવી સંસ્થા ‘છાંયડો’એ.
webdunia
સુરત એ માત્ર ગુજરાત જ નહીં, પણ સમગ્ર દેશમાં ટેક્સટાઇલ, હીરાઉદ્યોગ અને કન્સ્ટ્રક્શનનું હબ ગણાય છે. એટલા માટે જ સમગ્ર દેશમાં કદાચ સૌથી વધુ પરપ્રાંતીય શ્રમિકો રોજીરોટી કમાવા માટે ગુજરાત ભણી, સુરત ભણી મીટ માંડે છે. એક અંદાજ મુજબ, સુરત એ આશરે પંદરેક લાખથી વધુ પરપ્રાંતીયોની રોજગારીનું શહેર છે. પણ, આજે કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે વેપાર-રોજગાર બંધ થતાં આ લાખો પરપ્રાંતીયો પોતાના વતન જવા માટે મજબૂર બન્યા છે. આવકનું કોઈ અન્ય સાધન ન રહેતા તેમના માટે ‘ભૂખ’ એ સૌથી મહત્ત્વનો પ્રશ્ન છે. આવા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણીની સામાજિક અને સેવાભાવી સંસ્થાઓને મદદ માટે આગળ આવવાની અપીલને ‘છાંયડો’એ સાર્થક કરી બતાવી છે.
 
આપણે ત્યાં ગુજરાતીમાં બે ખૂબ જાણીતી કહેવત છે, ‘ટીપે ટીપે સરોવર ભરાય’ અને ‘ઝાઝા હાથ રળિયામણા’. આજે જ્યારે સમગ્ર વિશ્વ કોરોનાની મહામારી સામે ઝીંક ઝીલી રહ્યું છે, ત્યારે સુરતની મહિલાઓએ આ કરી બતાવ્યુ છે. પરપ્રાંતીય શ્રમિકો અને વિસ્થાપિતો માટે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા તો વિવિધ વ્યવસ્થાઓ કરવામાં આવી જ રહી છે, આમ છતાં આટલી મોટી જનસંખ્યામાં લોકોને ભોજનની વ્યવસ્થા કરવી એ એકલા હાથનું કામ તો નથી જ. ત્યારે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત્ ‘છાંયડો’ સંસ્થા ખરા અર્થમાં શ્રમિકોને ‘ટાઢો છાંયડો’ આપી રહી છે.
 
આ માટે સંસ્થાને એક કોમ્યુનિટી હોલ ફાળવવામાં આવ્યો છે. જ્યાં ભરત શાહ અને રામજી ચંદકના વડપણ હેઠળ અનેક કાર્યકર્તાઓ શાક બનાવવાથી માંડીને ભોજનની અન્ય વસ્તુઓની હજારો કીટ તૈયાર કરે છે. જેના માટે રોટલી બનાવવાનું બીડું મહિલાઓએ ઝડપી લીધું છે.
 
પ્રીતિબેનની સાથે તેમના જ એપાર્ટમેન્ટમાં રહેતાં અન્ય એક મહિલા કહે છે કે, એક દિવસ ‘છાંયડો’ના કાર્યકર્તાઓએ આવીને ટહેલ નાખી કે શ્રમિકો અને વિસ્થાપિતોની સહાય માટે આટલી જરૂર છે. બસ, ત્યારથી આ તેમનો નિત્યક્રમ બની ગયો. માત્ર તેમના એક એપાર્ટમેન્ટમાંથી જ 400 કરતાં વધુ રોટલી એકત્ર થાય છે.
 
માત્ર સેવા અને સહકારથી આગળ વધીને આ એક અનોખા પ્રકારની ક્રાન્તિ છે. આ મહિલાઓ સ્ત્રીસશક્તીકરણ અને માતૃત્વનું બેજોડ ઉદાહરણ પૂરું પાડે છે. આ એક માની મમતા જ તો કહેવાય ને! પરિવારના એક સભ્યની જેમ કોઈને મદદ કરવાની ભાવના.
 
રામસેતુ બનાવવામાં એક નાની ખિસકોલીનું પણ એટલું જ મહત્ત્વનું યોગદાન માનવામાં આવે છે, ત્યારે સુરતની આ મહિલાઓએ જે કરી બતાવ્યું છે, એ ખરેખર વામનના વિરાટ પગલારૂપી અનુકરણીય સેવાકાર્ય છે. લોકડાઉનના કપરાકાળમાં અમે શું કરી શકીએ? એવું માત્ર વિચારવાના બદલે જો એક નાનકડી શરૂઆત કરવામાં આવે અને ‘છાંયડો’ જેવી સામાજિક સંસ્થાઓનો સહકાર લઈ કામ કરવામાં આવે, તો અનેક લોકોની આંતરડી ઠરે અને તેમના આશિર્વાદ પણ મળે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દેશભરમાં ૪૬૧ જેમાં ગુજરાતમાંથી ૨૦૯ ટ્રેનો દોડી: ગુજરાતનો ૪૫ ટકા હિસ્સો