Publish Date: Fri, 30 Nov 2018 (12:09 IST)
Updated Date: Fri, 30 Nov 2018 (12:11 IST)
પાટણના સંખારી ગામે ઉતર ગુજરાતના પાસ કન્વીનરનો સ્નેહ મિલન અને સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જેમાં કન્વીનર હાર્દિક પટેલ દ્વારા આંદોલન નબળી પડ્યું હોવાનું જણાવી ફરી વેગવંતુ બનાવવા ક્ન્વીનરોને હાકલ કરી હતી તો આંદોલન નબળું પડવા પાછળ સમાજના આગેવાનો સહીત નીતિન પટેલને જવાબદાર ગણાવી આડે હાથે લીધા હતા અને વધુમાં મહારાષ્ટમાં મરાઠાઓને અનામત આપવામાં આવી હોઈ ગુજરાતમાં પણ પાટીદારોને અનામત આપવામાં આવે તે માટેનું ભાજપ - કોંગ્રેસ દ્વારા પ્રાઈવેટ બીલ રજુ કરાય તેવી ચેલેન્જ કરી હતી અને સરકાર સામે લડત કરવા મહિલાઓ બહાર આવે તેવા હેતુથી મહિલા સંમેલન યોજવાની જાહેરાત પણ કરી હતી.
ઉત્તર ગુજરાતના ક્ન્વીનરો સહીત ધારાસભ્ય આશાબેન પટેલ અને પાટીદાર યુવાનો હાજર રહ્યા હતા. હાર્દિક પટેલ દ્વારા નીતિન પટેલ પર આક્ષેપ કર્યો હતો કે નીતિન પટેલે જ સમાજનું નખોદ વાળ્યું છે અને તેમના કારણે જ સરકાર પાટીદારોને અન્યાય કરી રહી છે ત્રણ વર્ષથી ચાલતા આ આંદોલનમાં ઉપવાસ કે અન્ય આંદોલનમાં સમાજના અગ્રણીઓ સમાધાન કરવા અને માંગ મામલે સરકાર સમક્ષ પૂર્ણ કરવાની બાહેધરી આપે છે પણ પછી ખોવાઈ જાય છે આજ પાટીદાર સમાજની સંસ્થાઓ વાળા જ આંદોલનને નબળું બનાવી રહ્યા છે. વધુમાં મહારાષ્ટમાં મરાઠાઓને આપેલી ૧૬ ટકા અનામતની જેમ ગુજરાતમાં પાટીદારોને અનામત આપવા વિધાનસભામાં પ્રાઈવેટ બીલ મૂકી ભાજપ બીલ મુકે તો કોંગ્રેસના ટેકાની મારી જવાબદારી કહીને આ બાબતે ૫ તારીખથી વિપક્ષ નેતા, સમાજના અગ્રણીઓના ઘરે ઘેરાવો કરવાની ચીમકી આપી હતી.