Publish Date: Sat, 03 Apr 2021 (17:00 IST)
Updated Date: Sat, 03 Apr 2021 (17:01 IST)
આંદોલનકારી ખેડૂત નેતા રાકેશ ટિકૈત આવતીકાલથી બે દિવસ ગુજરાત મુલાકાતે છે. જ્યાં તેઓ પાલનપુર અને બારડોલીમાં કિસાન મહાસંમેલન કરી કેંદ્ર સરકાર સામે હલ્લાબોલ કરશે.જેમાં તેઓને કૉંગ્રેસ સાથ આપશે. ટિકૈત રવિવારે સવારે 11 કલાકે બનાસકાંઠામાં આવેલા શક્તિપીઠ અંબાજી પહોંચશે અને માતાજીના દર્શન કરશે. ત્યારબાદ બપોરે અઢી કલાકે પાલનપુરમાં કિસાનો સાથે સંવાદ કરશે. રસપ્રદ બાબત એ છે કે, ઉત્તર ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો પાટીદાર છે. એવામાં રાકેશ ટિકૈત પાટીદારોની કુળદેવી ઊંઝા ઉમિયાધામના દર્શન કરવા સાંજે પાંચ વાગ્યે પહોંચશે. આ તરફ ટિકૈતના ગુજરાત પ્રવાસને કૉંગ્રેસે પણ સમર્થન આપ્યું. કૉંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ચેતવણી આપી કે, ગુજરાત સરકાર ખેડૂતોના અવાજને દબાવવાનો પ્રયાસ ન કરે.દેશમાં કિસાન અને સામાજિક સંગઠનો દ્વારા ગાંધીજીની રાહે મિટ્ટી સત્યાગ્રહની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સામાજિક કાર્યકર સાથે કેટલાક કિસાન નેતાઓ અલગ અલગ રાજ્યો માં જઈને માટી એકઠી કરી રહ્યા છે. આ માટી 6 એપ્રિલ સુધી અનેક જગ્યાએથી એકઠી કરીને સિંધુ બોર્ડર પર કિસાન આંદોલનને લઈને કિસાન શહીદ સ્મારકની સ્થાપના કરાશે. સામાજિક કાર્યકર શબનમ હાશ્મી અને ખેડૂત નેતા સુનિલમે આજે પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે અમારા એક નેતાને પત્રકાર પરિષદમાંથી પોલીસે ઉઠાવ્યા હતાં પણ આગામી સમયમાં કિસાન સંઘના નેતા રાકેશ ટિકૈત ગુજરાત આવી રહ્યાં છે. જો પોલીસ તેમને રોકશે તો તેના પડઘા સમગ્ર દેશમાં પડશે. ખેડૂતો તેનો જવાબ આપશે.