Publish Date: Tue, 27 Jun 2017 (13:21 IST)
Updated Date: Tue, 27 Jun 2017 (13:26 IST)
રાજકોટમાં 29 જૂનના રોજ પીએમ મોદી પધારી રહ્યાં છે. તેઓ આજી ડેમ પર નર્મદાનીરના પાણીના વધામણા કરીને સભા સંબોધશે. મોદીના આગમનની તમામ તૈયારીઓ થઈ ગઈ છે. આજી ડેમ ખાતે રૂપિયા એક કરોડના ખર્ચે જર્મન ડોમ તૈયાર કરાયો છે. ત્યારે સભા સ્થળની પાસેથી ચાર સાંપ નીકળતા ભાજપના કાર્યકરોનો પરસેવો ઓછો થવાનુ નામ નથી લેતો. આશરે 1 લાખ લોકો અહીં ભેગા થવાના છે.
આ તો જીવનું જોખમ ન થાય તો સારૂ તેવી ચર્ચા થવા લાગી હતી. ચારેય સાપને પકડવા માટે જંગલખાતા દ્વારા રેસ્કયૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આજી ડેમ આસપાસ જંગલ વિસ્તાર છે. મોદીના આગમનને લઇ વિવિધ કાર્યક્રમો થઇ રહ્યા છે. આજે અહીં પ્લેબેક સિંગર અંકિત તિવારી નાઇટ છે તો સાંજે હજારો મહિલાઓ દિવાની આરતી કરવાની છે. આ સ્થળ આસપાસ જંગલ વિસ્તાર છે જ્યાં ઝેરી સાપનો ઉપદ્રવ રહે છે. આજે એક સાથે ચાર સાપ મળી આવ્યા હતા. ચાર સાપને પકડવામાં આવ્યા છે. જ્યારે એક ભાગી છૂટ્યો છે. આવા બીજા અનેક જીવ જંતુનો ભય છે જેને લઇ તંત્ર સામે નવી મુસીબત આવી છે. આગામી ચાર દિવસ રાજકોટમાં છુટાછવાયા ઝાપટા પડવાની શક્યતા છે. હવે જ્યાં મોદીની સભાનું સ્થળ છે તે જગ્યાએથી છુટા હરતા ફરતા સાપ આટા મારે છે. આવા કેટલા સાપ ક્યાં છે તેના જવાબમાં તંત્ર કહે છે કે, કેમ ખબર પડે. આ મુદે હાલ કોઇ કંઇ બોલવા તૈયાર નથી પરંતુ ભાજપ સહિત કલેક્ટર તંત્રમાં ચિંતાનુ મોજુ ફરી વળ્યું છે.