Publish Date: Wed, 05 Aug 2020 (13:47 IST)
Updated Date: Wed, 05 Aug 2020 (13:49 IST)
ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૃ થઇ ગયો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી ૩ દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર તેમજ કચ્છમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જેના પગલે ૮ ઓગસ્ચ સુધી માછીમારોને દરીયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવેલી છે. ગુજરાતમાં હાલ કુલ ૫૪ જળાશયો હાઇ એલર્ટ પર છે. બંગાળની ખાડી પર સર્જાયેલા લો પ્રેશર તેમજ અરબી સમુદ્રમાં બનેલા સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે આગામી ૩ દિવસમાં ગુજરાતમાં સારા વરસાદનીસંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જેમાં ૫ ઓગસ્ટે મધ્ય તથા દક્ષિણ ગુજરાતમાં, ૬ ઓગસ્ટે સૌરાષ્ટ્રમાં તથા ૭ ઓગસ્ટે સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારમાં સારો વરસાદ થવાની આગાહી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેપ્યુટી કલેકટર ટી જે વ્યાસ દ્વારા તમામ ઓનલાઈન અધિકારીઓને આવકારી વેધર વોચની મીટીંગની શરૃઆત કરવામાં આવી હતી. રાહત કમિશનર પટેલે વર્ચ્યુઅલ મિટિંગમાં ઉપસ્થિત અધિકારીઓને જણાવ્યુ કે, 'આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુઘી ૩૬ તાલુકાઓમાં ૧ મીમી થી લઇ ૧૨૭ મીમી સુધી વરસાદ નોધાયો છે. જેમાં ગીર સોમનાથ જિલ્લામાં સૌથી વધુ ૧૨૭ મીમી વરસાદ નોધાયો છે. રાજ્યમાં અત્યાર સુધી ૪ ઓગસ્ટ સુધી ૩૫૮.૬૭ મીમી વરસાદ થયો છે. જે છેલ્લાં ત્રીસ વર્ષની રાજ્યની એવરેજ ૮૩૧ મીમી ની સરખામણીએ ૪૩.૧૫% છે. 'કૃષિ વિભાગ દ્વારા જણાવાયુ છે કે, 'ચાલુ વર્ષે અંદાજીત ૭૪.૯૨ લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર ૪ ઓગસ્ટ સુધીમાં થયુ છે. જે ગત વર્ષે સમાન સમયગાળા દરમ્યાન ૬૩.૬૪ લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લા ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે ૮૮.૨૫% વાવેતર થયું છે. સિંચાઇ વિભાગ દ્વારા જણાવાયું છે કે, સરદાર સરોવર જળાશયમાં હાલની સપાટી ૧૧૯.૨૯ મીટર છે. તેમજ ૧,૭૦,૦૯૮ એમ.સી.એફ.ટી પાણીનો સંગ્રહ છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૦.૯૨% છે. તેમજ ૪,૨૬૭ કયુસેક પાણીની આવક થવા પામી છે. રાજયનાં ૨૦૫ જળાશયોમાં હાલમાં કુલ સંગ્રહ ૨,૮૭,૫૪૪ એમ.સી.એફ.ટી છે. જે કુલ સંગ્રહ શકિતના ૫૧.૬૪ ટકા છે. હાલમાં રાજ્યમાં કુલ-૫૪ જળાશય હાઇ એલર્ટ ૫ર છે. ફીશરીઝ વિભાગ દ્વારા જણાવાયું છે કે, તા. ૮મી ઓગસ્ટ સુધી માછીમારોને દરીયો ખેડવાની મનાઇ ફરમાવવામાં આવી છે. તેમજ જે લોકો દરીયો ખેડવા ગયેલા છે તેઓને ૫રત બોલાવવાની કામગીરી ચાલુમાં છે. મોસમ વિભાગની અગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીના ૫ગલે રાજ્યના તમામ વિભાગોને સચેત રહેવા તથા તે અંગેની આગોતરી તૈયારીઓ કરવા રાહત કમિશનરે તાકીદ કરી છે.