Publish Date: Thu, 12 Oct 2017 (15:10 IST)
Updated Date: Thu, 12 Oct 2017 (15:33 IST)
કોંગ્રેસના પક્ષના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની બીજા તબક્કાની મધ્ય ગુજરાતની યાત્રા પૂર્ણ થઈ છે. હવે ત્રીજા તબક્કાની ગુજરાત યાત્રા દિવાળી બાદ રાખવામાં આવી હોવાનું કોંગ્રેસના સૂત્રો કહી રહ્યા છે. યાત્રાનો ત્રીજો તબક્કો ૨૪ અથવા ૨૫ ઓકટોબરથી શરૂ થાય તેવી શકયતા છે. યાત્રાનો ત્રીજો તબક્કો દક્ષિણ ગુજરાતનો રહેશે એ પછી ચોથા તબક્કામાં ઉત્તર ગુજરાતમાં યાત્રા શરૂ થશે કોંગ્રેસના સૂત્રો કહે છે કે, રાહુલ ગાંધીની યાત્રાનો ત્રીજો તબક્કો હવે દિવાળી બાદ શરૂ થશે. ત્રીજા તબક્કામાં પણ રેલીની સાથે રોડ શો, જાહેરસભાઓ, લોકો સાથે સીધા સંવાદના કાર્યક્રમો યોજાશે. આ કાર્યક્રમને વિધિવત રીતે હવે આખરી ઓપ અપાશે. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતની માફક દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતની યાત્રામાં પણ વધુમાં વધુ મંદિરોની રાહુલ મુલાકાત લે તે માટેનું આયોજન છે. સોફટ હિન્દુત્વને અનુલક્ષી રાહુલ હજુએ વધુમાં વધુ મંદિરોની મુલાકાત લેશે. કોંગ્રેસનો દાવો છે કે રાહુલ ગાંધીની અત્યાર સુધીની બન્ને યાત્રાઓ સ ફળ રહી છે અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. મહત્વનું છે કે, બીજા તબક્કાની મધ્ય ગુજરાતની યાત્રામાં યાત્રા દરમ્યાન ૫૦ જેટલી વિધાનસભા બેઠકોને આવરી લેવામાં આવી હતી. જ્યારે પ્રથમ તબક્કામાં ૪૮ જેટલી બેઠકો સામેલ કરાઈ હતી. ત્રણ દિવસની મધ્ય ગુજરાતની યાત્રા પૂર્ણ કરી રાહુલ તેમજ પ્રદેશ પ્રભારી અશોક ગેહલોત મોડી સાંજે દિલ્હી જવા રવાના થયા હતા