Publish Date: Fri, 11 Oct 2024 (19:03 IST)
Updated Date: Fri, 11 Oct 2024 (19:41 IST)
Porbandar news- કોસ્ટગાર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલા સત્તાવાર નિવેદન પ્રમાણે, તા. બીજી સપ્ટેમ્બરે રાત્રે સવા અગ્યાર વાગ્યા આસપાસ પોરબંદર પાસે અરબ સાગરમાં પસાર થઈ રહેલા ઑઇલ ટૅન્કરમાંથી ઈજાગ્રસ્ત ક્રૂ મૅમ્બરને મેડિકલ મદદ માટેનો સંદેશ મળ્યો હતો.
જેના પગલે પાઇલટ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા, સહ-પાઇલટ કમાન્ડન્ટ વિપીન બાબુ, પ્રધાન નાવિક કરણસિંહ તથા ઍરક્રૂ ડાઇવર ગૌતમ કુમાર સાથે કોસ્ટગાર્ડનું ઍડ્વાન્સ્ડ લાઇટ હૅલિકૉપ્ટર રવાના કરવામાં આવ્યું હતું.
જોકે, ટૅન્કર સુધી પહોંચે તે પહેલાં હૅલિકૉપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. આ વિસ્તારમાં માછીમારી રહેલાં ફિશરમૅનોએ ગૌતમકુમારને બચાવી લીધા હતા.
જ્યારે કમાન્ડન્ટ વિપીન બાબુ તથા પ્રધાન નાવિક કરણસિંહનો મૃતદેહ બીજા દિવસે હૅલિકૉપ્ટરના કાટમાળ સાથે મળી આવ્યો હતો.
ભારતીય કોસ્ટગાર્ડ, નેવી તથા અન્ય એજન્સીઓએ કમાન્ડન્ટ રાકેશ કુમાર રાણા વિશે માહિતી મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા, પરંતુ કોઈ સફળતા મળી નહોતી.
દરમિયાન ગુરુવારે રાણાનો મૃતદેહ મળી આવ્યો હતો. કોસ્ટગાર્ડના સૂત્રે નામ ન આપવાની વિનંતી સાથે જણાવ્યું હતું, "ગુરુવારે માછીમારોને ફિશિંગ ટ્રૉલરની નૅટમાં કંઈક અસામાન્ય ફસાયું હોવાનું જણાઈ આવ્યું હતું, તપાસ કરતા તે બીજી સપ્ટેમ્બરથી ગુમ થયેલા પાઇલટનો મૃતદેહ હોવાનું બહાર આવ્યું હતું."