Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રધાનમંત્રી આજે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે

પ્રધાનમંત્રી આજે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે
, શુક્રવાર, 21 જાન્યુઆરી 2022 (10:24 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે એટલે કે 21મી જાન્યુઆરી, 2022ના રોજ સવારે 11 વાગ્યે સોમનાથ ખાતે નવા સર્કિટ હાઉસનું વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ઉદ્ઘાટન કરશે. આ પ્રસંગે પ્રધાનમંત્રીના સંબોધન પછી ઉદ્ઘાટન થશે.
 
સોમનાથ મંદિરમાં દર વર્ષે દેશ-વિદેશમાંથી લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. હાલની સરકારી સુવિધા મંદિરથી દૂર આવેલી હોવાથી નવા સરકીટ હાઉસની જરૂરિયાત અનુભવાઈ હતી. નવું સર્કિટ હાઉસ રૂ. 30 કરોડથી વધુના ખર્ચે બનાવવામાં આવ્યું છે અને તે સોમનાથ મંદિરની નજીક આવેલું છે. 
 
તે સ્યુટ, વીઆઇપી અને ડીલક્સ રૂમ, કોન્ફરન્સ રૂમ, ઓડિટોરિયમ હોલ વગેરે સહિતની ટોચની કક્ષાની સુવિધાઓથી સજ્જ છે. લેન્ડસ્કેપિંગ એવી રીતે કરવામાં આવ્યું છે કે દરેક રૂમમાંથી સમુદ્રનો નજારો મળી શકે.
 
રાજ્યના માર્ગ અને મકાન તથા પ્રવાસન અને યાત્રાધામ વિકાસ મંત્રી પૂર્ણેશભાઈ મોદીની અધ્યક્ષતામાં સોમનાથ મંદિર સમીપે સમુદ્ર દર્શન વોક-વે ખાતે આયોજિત મહાઆરતીમાં એક અદ્ભુત અને અવિસ્મરણીય નજારો જોવા મળશે. આ મહાઆરતીમાં પવિત્ર દીવડા પ્રગટાવી દરિયાદેવની આરતી કરવામાં આવશે. 
 
આ સાથે દીવડાઓ, મશાલ અને લાઇટિંગના માધ્યમથી આઝાદીના અમૃત મહોત્સવને અનુલક્ષીને ''૭૫'' નો આંક દર્શાવતી પ્રતિકૃતિ 75 જેટલી હોડી અને બોટ દ્વારા સમુદ્ર અંદર ઉભી કરવામાં આવશે. આ પ્રસંગે કિર્તીદાન ગઢવી દ્વારા મહાઆરતીનું ગાન કરવામાં આવશે.
 
આ સાથે સમુદ્ર તટે મંત્રી પૂર્ણેશભાઈ મોદી સોમનાથ ટ્રસ્ટ અને નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ સાથે ભોજન ગ્રહણ કરશે. તેમની સાથે કિર્તીદાન ગઢવી, આદિત્ય ગઢવી, અરવિંદ વેગડા, ઉર્વશી રાદડિયા, ઉમેશ બારોટ, કિંજલ રાજપ્રિય, કૈરવી બુચ, ઓજસ રાવલ, હાર્દિક દવે જેવા નામાંકિત કલાકારો ઉપરાંત તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ફેમ મયુર વાકાણી(સુંદર મામા), તન્મય વેકરિયા(બાઘા) સફાઈ કર્મચારીઓ સાથે ભોજન આરોગશે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં 20 ફેબ્રુઆરીએ યોજાશે અનોખા 'ઓનલાઇન' સમૂહલગ્ન, 100 દેશોમાં થશે લાઇવ પ્રસારણ