Publish Date: Thu, 06 Feb 2020 (12:58 IST)
Updated Date: Thu, 06 Feb 2020 (13:02 IST)
કડીમાં બુધવારે CAAના સમર્થનમાં યોજાયેલી વિરાટ રેલી અને સભામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઠેરઠેર CAAના સમર્થનમાં નાગરિકો બહાર નીકળી રેલી અને સભા યોજી રહ્યા છે. સમગ્ર દેશ કાયદાને આવકારી રહ્યો છે, જ્યારે પાકિસ્તાન તરફી વલણ ધરાવતા અને કોંગ્રેસવાળા જ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. નાગરિકતાનો કોઈ લાભ નથી મળ્યો તેવા લોકોને આ કાયદાની નાગરિકતાના તમામ લાભો મળશે રેલી બાદ મામલતદારને CAAને સમર્થન કરતું આવેદન અપાયું હતું. કડીમાં બુધવારે રાષ્ટ્રહિત ચિંતક સમિતિ દ્વારા CAAના સમર્થનમાં વિરાટ રેલી અને સભા યોજાઇ હતી. માર્કેટયાર્ડ મેદાનમાં યોજાયેલી સભાને સંબોધતાં સામાજિક અગ્રણી શ્રધ્ધા ઝાએ કાયદાનો વિરોધ કરનારા ભારતીય નથી. તમે શેની આઝાદી માંગી રહ્યા છો, તમને તમારી વસ્તી વધારવાની આઝાદી તો આપી છે. તમે મસ્જિદના દાયકા જૂના અવશેષો મળ્યા હોય તેવું ક્યાંય સાંભળ્યું છે. દેશ આઝાદ થયો ત્યારે પાકિસ્તાનમાં 27 ટકા હિન્દુઓ અને 400 મંદિરો હતા. હાલ માત્ર 0.5 ટકા હિન્દુ અને માંડ 40 મંદિરો બચ્યાં છે. ભારત હિન્દુ રાષ્ટ્ર હતો અને રહેશે. અમારો ધર્મ દરેકનું સન્માન કરવાનું શીખવે છે એટલે બાપ બનીને નહીં પણ બેટા બનીને રહેજો. આટલા વર્ષોથી કુટુંબ નિયોજનના કાયદાની ખબર પડી નથી અને CAAના કાયદાની સમજ જલદી પડી ગઈ તેમ જણાવ્યું હતું. ગૌભક્ત કાલીદાસ બાપુએ દેશદ્રોહી ગદ્દારોને ભૂલથી પણ ગાદી પર બેસાડતા નહીં અને જો બેસી ગયા તો આપણે એક નહીં રહી શકીએ તેમ જણાવ્યું હતું. સભા બાદ હજારોની સંખ્યામાં CAAના સમર્થનમાં નીકળેલી રેલી માર્કેટયાર્ડ મેદાનથી ટાઉનહોલ, ભાગ્યોદય હોસ્પિટલ, પટેલ ભુવન, શેફાલી સર્કલ, મણીપુર, ગંજબજાર, ગાંધીચોક થઇ થોળ રોડ સ્થિત પાલિકા મેદાન ખાતે સમાપન થયું હતું. જ્યાં નાયબ મુખ્યમંત્રીએ સભાને સંબોધન કરી કાયદાનો વિરોધ કરનારાઓને આડે હાથ લીધા હતા.