Publish Date: Sun, 08 Dec 2019 (11:55 IST)
Updated Date: Sun, 08 Dec 2019 (12:02 IST)
ગુજરાત વિધાનસભાના સત્રના પ્રારંભે કોંગ્રેસ દ્વારા જે કૂચ કરીને ઘેરાવ માટેનું આહવાન કરાયું છે તે સંદર્ભે પણ તથા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ સુપેરે જળવાઇ રહે એ માટે પણ પુરતી તકેદારી રાખીને પૂરતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યમાં કેટલાક નાના-મોટા પ્રશ્નો સંદર્ભે કોંગ્રેસ દ્વારા રાજકીય હિતો સાધવા અને રાજકીય રોટલો શેકવા માટે યુવાનોને જે ગુમરાહ કરવાનો પ્રયાસ થઇ રહ્યો છે તેને રાજ્ય સરકાર સહેજે ય ચલાવી લેશે નહીં. યુવાનોને પડખે રાજ્ય સરકાર હર હંમેશ છે જ અને રહેશે. યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવા તથા તેમના હિતો માટે રાજ્ય સરકારનું મન હંમેશા ખુલ્લું છે.
તાજેતરમાં લેવાયેલ બિન સચિવાલય પરીક્ષા સંદર્ભે કોંગ્રેસ દ્વારા યુવાનોને બહેકાવવાનો પ્રયાસ થયો છતાં પણ યુવાનોએ કોઇ પણ રીતે એમની વાતોમાં આવ્યા નથી. એ માટે સૌ યુવાનોને અભિનંદન પાઠવ્યા છે. આજે NSUI દ્વારા શાળા-કોલેજ બંધનું એલાન આપવામાં આવેલ હતું જે સદંતર નિષ્ફળ ગયું છે. રાજ્ય સરકારે પરીક્ષા સંદર્ભે યુવાનો માટે સંવેદના દાખવીને ફરિયાદો સંદર્ભે SIT ની રચનાની તેમની માંગણી મુજબ SIT ની રચના કરી દીધી છે અને SIT ની બેઠકો પણ ગઇ કાલથી શરૂ થઇ ગઇ છે.
બેઠકમાં તપાસ બાદ જે પણ નિષ્કર્ષ આવશે તે મુજબ રાજ્ય સરકાર ચોક્કસ હકારાત્મક નિર્ણય લેશે. કોઇપણ ગેરરીતી જણાશે તો અમે ચલાવવા માંગતા નથી. યુવાનોની જે શંકા-કુશંકાઓ હશે એ તમામનું સમાધાન કરવા રાજ્ય સરકાર ચોક્કસ પ્રયાસો કરશે એટલે યુવાનોન ગરમાર્ગે ન દોરવવા પણ અપીલ કરી છે.