નોટબંધી બાદ માત્ર ગુજરાતમાંથી 6 કરોડની બનાવટી નોટો જપ્ત થઈ
Publish Date: Wed, 08 Aug 2018 (13:27 IST)
Updated Date: Wed, 08 Aug 2018 (13:29 IST)
નોટબંધી બાદ ભારતમાં બનાવટી નોટનું પ્રમાણ ઘટશે તેવા સરકાર દ્વારા કરવામાં આવેલો દાવો પણ પોકળ પુરવાર થયો છે. ૯ નવેમ્બર ૨૦૧૬ એટલે કે નોટબંધી જાહેર કરવામાં આવી ત્યારથી લઇને ૩૦ જૂન ૨૦૧૮ સુધી સમગ્ર દેશમાંથી કુલ રૃ. ૧૩ કરોડ ૮૬ લાખ ૫૧૨૦ની ચલણી નોટ જપ્ત થઇ છે. આ મહિનાના ૨૦ ગાળામાં સમગ્ર દેશમાંથી ગુજરાતમાંથી સૌથી વધુ રૃ. ૫.૯૪ કરોડની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ હોવાનું સામે આવ્યું છે. લોકસભામાં આજે રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હંસરાજ ગંગારામ આહિરે બનાવટી ચલણી નોટ અંગેની આ માહિતી આપી હતી. તેમના દ્વારા રજૂ કરવામાં આવેલા આંકડા અનુસાર ગુજરાતમાંથી કુલ રૃ. ૫ કરોડ ૯૪ લાખ ૮૭૪૭૦ની બનાવટી ચલણી નોટ જપ્ત થઇ છે. આમ, સમગ્ર દેશમાંથી લગભગ ૪૦ ટકા બનાવટી ચલણી નોટ ગુજરાતમાંથી જપ્ત થઇ છે તેમ કહી શકાય. સૌથી વધુ બનાવટી ચલણી નોટ જપ્ત થવાને મામલે ગુજરાત બાદ ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, પંજાબ, મિઝોરમનો ક્રમ આવે છે. મંત્રી હંસરાજ ગંગારામ આહિરે જણાવ્યું હતું કે, 'દેશમાં બનાવટી ચલણી નોટ ફરતી કરવામાં કયા તત્વોનો હાથ છે તેની કેન્દ્ર-રાજ્યની ગુપ્તચર સંસ્થાઓ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પાડોશી દેશમાંથી પણ ભારતમાં બનાવટી ચલણી નોટ ઘુસાડવામાં આવે છે. જેને અટકાવવા માટે અમે સરહદે નવી ટેક્નોલોજી દ્વારા નજર રાખવામાં આવેલી છે. સ્મગલિંગ અને બનાવટી ચલણી નોટ પર અંકૂશ મેળવવા બાંગલાદેશ સાથે મેમોરેન્ડમ ઓફ અંડરસ્ટેન્ડિંગ પર હસ્તાક્ષર પણ કરાયા છે.'
આગળનો લેખ