નિતિન પટેલની જીદ આગળ સૌરભ પટેલનું કદ ઘટ્યું
Publish Date: Mon, 01 Jan 2018 (12:07 IST)
Updated Date: Mon, 01 Jan 2018 (12:17 IST)
ખાતાના વહેંચણીના મામલે ભાજપમાં આંતરિક ઘટરાગ બરાબર જામ્યો હતો ત્યારે પોતાનુ કદ વધ્યુ છે તેવા દેખાડા સાથે સૌરભ પટેલે નાણામંત્રી તરીકે શનિવારે પદભાર સંભાળ્યો હતો પણ રવિવારે બપોરે જ નાણાં મંત્રાલય છિનવી લેવાયુ હતું.સૌરભ પટેલને હવે માત્ર ઉર્જાવિભાગની જવાબદારી સુપરત કરવામાં આવી છે. ખાતાની વહેંચણી બાદ ભાજપમાં ઉભા થયેલાં ડખા ભલે અત્યારે શમ્યા હોય પણ અસંતોષની જવાળા ભભૂકેલી જ રહેશે તેમ રાજકીય પંડિતો માની રહ્યા છે. ભાજપ હાઇકમાન્ડ માટે કયા પટેલ મંત્રીને નાણાં મંત્રી બનાવવા તે પેચિદો પ્રશ્ન બન્યો હતો. શનિવારે એક તરફ,નિતીન પટેલે પાટીદારોને એકઠાં કરીને શક્તિ પ્રદર્શન કરી રહ્યા હતાં તો,બીજી તરફ,સૌરભ પટેલે નાણામંત્રાલયનો પદભાર સંભાળી લીધો હતો.આજે જયારે ભાજપ હાઇકમાન્ડ નિતીન પટેલના પાટીદાર પાવર સામે ઝૂકી જતાં સૌરભ પટેલ પાસેથી નાણાં મંત્રાલય પરત લેવુ પડયુ હતું જેથી સૌરભ પટેલ જાણે એક દિન કા સિકંદર બની રહ્યાં હતાં. ભાજપ હાઇકમાન્ડે પણ એક પટેલ પાસેથી ખાતુ છિનવી બીજા પટેલને માનભેર નાણાં ખાતુ આપ્યુ હતું. આમ,સૌરભ પટેલ શનિવારે નાણાં મંત્રી બની રહ્યા હતાં જયારે રવિવારે ઉર્જા મંત્રી બન્યા હતાં. જોકે, આ ઘટનાને પગલે સૌરભ પટેલનુ કદ ઘટયુ છે.
આગળનો લેખ