નવસારીના પોલકી હીરા ઉદ્યોગમાં મંદી છવાતાં દિવાળી બાદ 75 ટકા કારખાના શરૂ થયા જ નહીં
Publish Date: Mon, 17 Dec 2018 (11:58 IST)
Updated Date: Mon, 17 Dec 2018 (12:00 IST)
નવસારીનો પ્રખ્યાત પોલકી હીરા ઉદ્યોગ ડોલરની કિમંતમાં સતત વધારો થવાથી મંદીમાં સપડાયો છે. દિવાળીવેકેશન બાદ માત્ર રપ ટકા જ કારખાના શરૂ થતાં ૮ હજાર પરિવાર બેકારીનાં ખપ્પરમાં હોમાયા છે. ડોલરની સામે સતત રૂપિયાનું ધોવાણ થવાથી હીરાની ચમક ફીકી પડી છે.
એક સમયે દક્ષિણ ગુજરાત એ હીરા ઉદ્યોગ માટે ઓળખાતુ હતું પરંતુ બદલાતા સમયની સાથે આ સ્થાને સુરત પ્રાપ્ત કર્યુ હતું અને હીરા ઉદ્યોગનું હબ સુરત ગણાવા માંડયું હતું. પરંતુ આજે પણ નવસારીમાં કેટલીયે મોટી કંપની અને કારખાના યથાવત રહ્યા છે. એક અંદાજ મુજબ નવસારી પંથકમાં ૧રથી ૧પ હજાર લોકો હીરાનાં કારખાનામાં કામ કરીને ઘર પરિવારોનું જીવન નિર્વાહ કરે છે. છેલ્લાં કેટલાંક મહિનાઓથી અમેરિકન ડોલરની કિમંતમાં સતત વધારો થવાની સાથે ભારતીય રૂપિયા નબળો પડતાં તેની માઠી અસર હીરા ઉદ્યોગ પર પડી છે.
કારણ કે કાચા (રફ) હીરાને વેપારીઓએ ડોલરનાં ભાવમાં ખરીદવા પડે છે અને તેને તૈયાર કરીને દેશમાં રૂપીયામાં વેચવા પડે છે. જેનાં લીધે આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે. તેનાં પર સરકારે લાદેલી આર્થિક સંતુલન ખોરવાઈ ગયું છે. તેના પર સરકારે લાદેલી નોટબંધીની અસરથી ભારતીય હીરા માર્કેટ મંદીમાં ઝીકાયું હતું. તેમાંથી જેમ તેમ બહાર નીકળવાનાં પ્રયાસો ઉદ્યોગ કરી રહ્યો હતો. ત્યારે જીએસટી લાગુ થતાં ફરીથી હીરા માર્કેટ નબળું પડયું હતું અને મંદીમાં સપડાઈ ગયું હતું.
દિવાળીનાં દોઢ મહિના અગાઉ રૂપિયાની સામે ડોલરની કિમંતમાં લગભગ ૧પ ટકાનો વધારો થયો હતો. જેનાં કારણે ઘંટી પર ઘસાઈ તૈયાર થયેલા હીરાનાં ખરીદનારા મળ્યા નહતા. કારણ કે ડોલરનાં મુકાબલે વ્યાપારીને હીરાની ખરીદી મોંઘી હતી. દિવાળીનાં તહેવારને ધ્યાનમાં રાખી કેટલાંકે નુકસાન વેઠી હીરા વેચ્યા હતા. બીજી તરફ મંદી શરૂ થતાં સુરતનાં કેટલાયે કારખાના બંધ પડયા હતા. જ્યારે કેટલીક કંપની દ્વારા કારીગરોને છુટા કરવામાં આવ્યા હતા. તેવી જ હાલત નવસારીમાં પણ થઈ હતી. જેનાં કારણે હીરાનાં કારીગરોનાં પરિવારોની દિવાળી નિરસ રહી હતી.
હવે દિવાળી પુરી થઈને એક મહિનો વિતી જવા છતાં ૭પ ટકા હીરાનાં કારખાનાં શરૂ થયા નથી. લગભગ ૮ હજારથી વધુ કારીગરો હાલમાં બેકાર બન્યા છે. હીરા ઉદ્યોગ વર્તમાન સ્થિતિમાં સુધારા થાય તેની રાહ જોઈ બેઠો છે.
આગળનો લેખ