ઘોડા છૂટ્યા પછી તબેલાને તાળા? સચિવાલયમાં દીપડો ઘૂસવાની સઘન તપાસ થશે
Publish Date: Tue, 06 Nov 2018 (12:17 IST)
Updated Date: Tue, 06 Nov 2018 (12:20 IST)
સોમવારે ગાંધીનગરના સચિવાલયમાં દીપડો ઘૂસી જવાની ઘટનાએ રાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બની હતી. રાજ્યની સૌથી સુરક્ષિત બિલ્ડિંગો પૈકી એક મનાતા સચીવાયલમાં જો જંગલી જાનવર આરામથી ઘુસી શકતું હોય તો અન્ય ખરાબ મનસૂબા ધરાવતા તત્વો પણ ઘૂસી જાય તો નવાઈ નહીં. આ મુદ્દો તમામ જગ્યાએ ચર્ચાઈ રહ્યો છે. સાબરમતી નદીના જંગલોમાં દીપડા દેખાવાની આ પહેલી ઘટના નથી. આ પહેલા પણ ગાંધીનગરમાં પાછલા 10 વર્ષમાં 3-4 વાર દીપડો દેખાયો છે.વનવિભાગના સત્તાવાર આંકડા મુજબ બાજુમાં આવેલ સાબરકાંઠા જિલ્લાના જંગલોમાંથી દીપડાની સંખ્યા 70 જેટલી છે. જેના કારણે ખોરાકની શોધમાં તેઓ ગાંધીનગર સુધી આવી જતા હોવાનું કહેવાય છે. વન વિભાગના પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર એ. કે. સક્સેનાએ કહ્યું કે ‘સચીવાલય સુધી દીપડો ક્યાંથી અને કઈ રીતે પહોંચી ગયો તે અંગે અમે તમામ રસ્તાઓ પર તપાસ કરીશું. અમારું માનવું છે કે દીપડો સાબરમતી તરફથી આવ્યો હશે તે સાથે જ ગાંધીનગરના આસપાસના વિસ્તારોમાં પણ દીપડાની હાજરી અંગે તપાસ કરીશું’સચિવાલય પરિસરમાં દીપડો ઘુસવાની ઘટનાને પગલે અનેક સવાલો ઊભા થાય છે. સમગ્ર ઘટનામાં આખરે બેદરકારી કોની છે તે સવાલના જવાબમાં જવાબદાર વિભાગો એકબીજા પર ટોપલો ઢોળી રહ્યા છે.સચિવાલયના તમામ ગેટની ઉપર અને નીચેના ભાગે પ્રોટેક્શન રોડ લગાવવાની જુરુરિયાત રહેલી છે. જોકે અત્યાર સુધી આ અંગે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જો ગેટ પર પ્રોટેક્શન રોડ લગાવ્યાં હોત તો દીપડો સચિવાલયમાં ના ઘુસ્યો હોત.સચિવાલયમાં સરકારની મરજી વિના એકપણ માણસ ઘૂસી શકતો નથી ત્યારે હિંસક પ્રાણીએ મધરાતે બેધડકરીતે સચિવાલયમાં ઘૂસીને રીતસરનો પડકાર ફેંક્યો છે. ગાંધીનગરના મુખ્ય એવા ચ-રોડ પરના ગેટ નં.7ની નીચે માત્ર આઠ ઇંચની જગ્યામાંથી દીપડો અંદર ઘૂસી ગયો હતો.
આગળનો લેખ