કચ્છમાં જુની અદાવતનું વેર વાળવા બે જૂથો વચ્ચેની અથડામણમાં 6 લોકોની હત્યા કરાઈ
Publish Date: Wed, 24 Oct 2018 (11:42 IST)
Updated Date: Wed, 24 Oct 2018 (11:46 IST)
કચ્છના મુન્દ્રા તાલુકાના છસરા ગામે જૂની અદાવતનું મનદુ:ખ રાખીને કુંભાર અને આહિર યુવકો વચ્ચે બાથડ હથિયારો વડે લોહિયાળ અથડામણ થઈ હતી. જેમાં છસરાના મહિલા સરપંચનો પુત્ર અને સસરાનું તેમજ આહિર જ્ઞાતિના ચાર પિતરાઈ ભાઈઓ સહિત કુલ 7ને આ અથડામણમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી જેમાંથી 6 વ્યક્તિઓના મોત નીપજ્યા છે. જ્યારે એક મુસ્લિમ યુવકને ગંભીર હાલતમાં સારવાર અર્થે ભૂજ ખસેડાયો છે. મંગળવારે મોડી રાત્રે આહિર સમાજના 4 યુવકો પોતાના ખેતરથી ઘરે આવતા હતા ત્યારે પૂર્વ આયોજન સાથે જૂની અદાવતનું વેર વાળવા સરપંચના પુત્ર અને તેના દાદા તથા અન્ય ઈસમોએ હથિયારો સાથે ઝઘડો શરૂ કર્યો હતો. સામા પક્ષે આહિર યુવકોએ પણ તેમના મિત્રોને બોલાવી ઝઘડાને ગંભીર રૂપ આપ્યું હતું. આ સશસ્ત્ર ધિંગાણાંમાં બે સગા આહિર ભાઈઓ તથા બે પિતરાઈ ભાઈઓ તેમજ સામા પક્ષે સરપંચ પુત્ર અને તેના દાદાને ગંભીર ઈજાઓ થતાં મુન્દ્રા સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં તેમણે દમ તોડ્યો હતો. IG ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો ગામમાં કેમ્પ બનાવ્યો. ભૂજના SP ભરાડા પણ ઘટનાસ્થળે છે. ગામમાં પોલીસના ધાડેધાડા ગોઠવાયા છે. જોકે વાતાવરણ શાંત રહે તે હેતુથી પોલીસ તાકીદે કામગિરી કરી રહી છે.
આગળનો લેખ