Publish Date: Mon, 16 Sep 2019 (12:24 IST)
Updated Date: Mon, 16 Sep 2019 (13:07 IST)
ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ તેની પૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર ભરાવાના ઐતિહાસિક અવસરે તા.૧૭ સપ્ટેમ્બર મંગળવારે રાજ્યવ્યાપી નમામિ દેવી નર્મદે મહોત્સવ લોક ઉમંગ ઉત્સવ તરીકે ઉજવાશે.
રાજ્યના જિલ્લા મથકો અને નગરો મહાનગરોમાં આ જનઉત્સવમાં લોક કલાકારો, પ્રખ્યાત ગાયકો, ગુજરાતી ફિલ્મ કલાકારો, લોક સાહિત્યના અગ્રણી કલાકારો પણ સહભાગી થઈને નર્મદા મૈયાના જળ વધામણા કરતા ગીતોને સંગીત મઢી પ્રસ્તુતિ કરશે.
જે કલાકારો આ ઉમંગ ઉત્સવમાં જોડાવાના છે તેમાં મુખ્યત્વે પદ્મશ્રી ભીખુદાન ગઢવી, અમુદાન ગઢવી અને જીતુભાઈ દ્વારકાવાળા જૂનાગઢમાં, કિંજલ દવે, બંકિમ પાઠક, ધનરાજ ગઢવી, અરવિંદ બારોટ અને ઇન્દિરા શ્રીમાળી અમદાવાદમાં, ઓસમાણ મીર, સાંઈરામ દવે અને પંકજ ભટ્ટ રાજકોટમાં, ગીતા રબારી કચ્છમાં, વિરાજ બારોટ પાટણ અને જીજ્ઞેશ કવિરાજ મહેસાણામાં જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં જોડાવાના છે.