4થી માર્ચે વડાપ્રધાન મોદીનું અમદાવાદમાં ભવ્યાતિભવ્ય સ્વાગત કરાશે
Publish Date: Fri, 01 Mar 2019 (12:26 IST)
Updated Date: Fri, 01 Mar 2019 (12:28 IST)
હજુ ભારત-પાકિસ્તાન સરહદે તોપો સામસામે તણાયેલી છે. આ સંજોગોમાં ૪થી માર્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે તેમનુ ભવ્યાતિભવ્ય સ્વાગત કરવા તૈયારીઓ કરવામાં આવી રહી છે.
ભારત પાકિસ્તાનના વણસેલા સબંધો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે અગાઉ કયારેય નહી થયુ હોય તેવુ જોરદાર સ્વાગત કરવા ભાજપે આયોજન ઘડયુ છે. રાસમંડળી,ઢોલત્રાંસાની ધૂન વચ્ચે તેમને આવકારાશે.આ ઉપરાંત રસ્તાની બંન્ને બાજુએ કાર્યકરો ત્રિરંગા લઇને તેમનુ અભિવાદન ઝિલશે.
અમદાવાદ શહેરના મુખ્ય રસ્તાઓ પર સ્વાગત દ્વાર ઉભા કરવા પણ નક્કી કરાયુ છે. શહેરમાં ઠેર ઠેર નરેન્દ્ર મોદીના વિશાળ કટઆઉટ મૂકવામાં આવનાર છે.૪થી માર્ચે એસજી હાઇવે પર ઉમિયામાતાના મંદિરનુ ખાતમુહુર્ત કરશે.ત્યારબાદ અમદાવાદ સિવિલ હોસ્પિટલનુ લોકાપર્ણ કરશે.વસ્ત્રાલ મેટ્રોરેલનુ ય ઉદઘાટન કરવામાં આવશે.
ગાંધીનગરમાં રાત્રીરોકાણ દરમિયાન વડાપ્રધાન ભાજપના પ્રદેશ નેતાઓ સાથે બેઠક કરી લોકસભાની ચૂંટણી અંગે શું ચૂંટણીલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે તેની સમિક્ષા પણ કરે તેવી શક્યતા છે. બીજા દિવસે વડાપ્રધાન સૌની યોજના ઉપરાંત નડિયાદમાં ધરમસિંહ દેસાઇ યુનિવર્સિટી ઇન્સ્ટિટયુટનુ પણ લોકાપર્ણ કરશે.
પાકિસ્તાનમાં એરફોર્સે કરેલી એરસ્ટ્રાઇક બાદ ગુજરાતમાં વડાપ્રધાન આવી રહ્યાં છે ત્યારે ભાજપે સ્વાગતના બહાને એક ચૂંટણીનો માહોલ ઉભો કરવા તૈયારીઓ કરી છે. આ વખતે ભાજપ રાષ્ટ્રવાદને મુખ્ય ચૂંટણી મૂદ્દો બનાવી મતદારો સમક્ષ જાય તેવી પૂરેપુરી શક્યતા જોવાઇ રહી છે. આ બે દિવસીય કાર્યક્રમને ચૂંટણીલક્ષી બનાવવા ભાજપે બેઠકોનો દોર શરુ કર્યો છે.ગુજરાત મુલાકાત લઇને વડાપ્રધાને ગઇકાલે જ મુખ્યમંત્રી વિજય રૃપાણી-નિતીન પટેલ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાત કરી હતી
આગળનો લેખ