Publish Date: Sat, 26 Oct 2019 (14:39 IST)
Updated Date: Sat, 26 Oct 2019 (15:05 IST)
ગુજરાતના કિનારે ત્રાટકનાર સંભવિત વાવાઝોડા ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં તોફાની પવન ફૂંકાઈ રહ્યો છે. પવનના કારણે આજે બપોરે ગીર સોમનાથમાં એક બોટ ઉંઘી વળી ગઈ હતી તો બીજી તરફ ભારે પવનના કારણે ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા સાવચેતીના પગલાંના ભાગરૂપે બેટદ્વારકા જતી ફેરી સર્વિસ બંધ કરાઈ છે. દ્વારકાથી બેટદ્વારકા વચ્ચે નિત્ય ફેરી સર્વિસ ચાલે છે જોકે, પવનના કારણે સ્થિતિ વણસે અને કોઈ જાનહાનિ ન થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. (બીજી બાજુ ક્યાર વાવાઝોડું સક્રિય થયું છે અને પશ્ચિમ-ઉત્તર દિશામાં અરબી સમુદ્રમાં આગળ વધી રહ્યું છે. ક્યારની અસરના લીધે અરબી સમુદ્રમાં 120-130 કિમીની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. હવામાન વિભાગની જાણકારી મુજબ ક્યાર દરિયામાં દર 6 કલાકે 12 કિ.મી. આગળ વધી રહ્યું છે. ક્યારના લીધે ગુજરાતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે. સરકાર દ્વારા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં સામાન્ય થી મધ્યમ વરસાદની આગાહી છે જ્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં વાદળ છાયું વાતાવરણ રહશે. ગીર સોમનાથના ઉનાના દરિયામાં બે બોટે જળ સમાધિ લીધી છે. ઉનાના સૈયદ રાજપરાની બે બોટ દરિયામાંથી પરત આવતા સમય ડૂબી હતી તો પવનના કારણે એક બોટ કિનારે ઉંઘી વળી જતાં માછીમારોને કિંમીત માલા સામાન કાઢવા માટે જહેમત ઉઠાવી પડી હતી. (ક્યારની અસરના કારણે ગિરીમથક સાપુતારામાં પણ તોફાની પવન ફૂંકાયો છે. સાપુતારાના વાતાવરણમાં પલટો આવતા વાવાઝોડાની સ્થિતિનું નિર્માણ થયું છે. સાપુતારામાં આજે અચાનક હવામાનમાં પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ વચ્ચે સુસવાટા સાથે પવન ફૂંકાયો હતો.