Publish Date: Fri, 19 Jan 2018 (11:43 IST)
Updated Date: Fri, 19 Jan 2018 (11:45 IST)
મંત્રી પરષોત્તમ સોલંકીને સારૃ ખાતુ ન અપાતાં કોળી સમાજ ભાજપથી ખફા છે તો,કુંવરજી બાવળિયાને વિધાનસભા વિપક્ષના નેતાનું પદ ન અપાતા કોળી કોંગ્રેસથીય નારાજ છે. રાજકીય અન્યાય થતાં બાવળિયા અને પરસોત્તમ સોલંકી સંમેલન યોજી શક્તિ પ્રદર્શન કરવા તૈયારીઓ કરી રહ્યાં છે. અખિલ ભારતીય કોળી સમાજ વતી રાહુલ ગાંધીને પત્ર લખાયો છેકે, સૌરાષ્ટ્રમાં કોંગ્રેસે સારો દેખાવ કર્યો છે જેમાં કોળી આગેવાન કુંવરજી બાવળિયાની મહત્વની ભૂમિકા રહી છે. હવે જયારે ચૂંટણી પતી છે ત્યારે કોંગ્રેસ સંગઠનમાં તો સ્થાન આપ્યુ નથી પણ બાવળિયાને વિપક્ષીનેતા ય બનાવાયાં નથી જેના લીધે કોળી સમાજમાં ભારે રોષ છે.
કોળી સમાજે વિપક્ષીનેતા માટે ફેરવિચારણા કરવા માંગ કરી છે. આ જ પ્રમાણે, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને પત્ર લખી એવી માંગ કરવામાં આવી છેકે, પરસોત્તમ સોલંકીને હજુય પ્રમોટ કરાયાં નથી. સારૃ ખાતુ ન આપીને કોળીઓ સાથે અન્યાય કરવામાં આવ્યો છે. પરષોતમ સોલંકીને સારા ખાતા આપી કેબિનેટ મંત્રી બનાવવા જોઇએ.આ ઉપરાંત ઓલપાડના કોળી ધારાસભ્ય મુકેશ પટેલ અને જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલને પણ મંત્રીમંડળમાં સમાવવા જોઇએ. અખિલ ભારતીય કોળી સમાજના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ ચંદ્રવદન પીઠાવાલાએ આ વાતને સમર્થન આપતાં જણાવ્યું કે, એકાદ બે દિવસમાં અખિલ ભારતીય કોળી સમાજના આગેવાનો મંત્રી પરષોતમ સોલંકી સાથે બેઠક યોજી આગળની રણનીતી નક્કી કરશે. રાજકીય પક્ષો કોળીઓનો માત્ર રાજકીય ઉપયોગ ન કરે,તેમનુ સન્માન પણ કરે. પ્રથમ તબક્કામાં કોળી ધારાસભ્યોના સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવશે ત્યારબાદ જાન્યુઆરીના અંતમાં કુંવરજી બાવળિયા અને પરષોતમ સોલંકી અલગ અલગ સંમેલન યોજીને શક્તિ પ્રદર્શન કરશે. આમ, કોળી હવે ભાજપ-કોંગ્રેસને રાજકીય તાકાત દેખાડવાના મૂડમાં છે જેથી આગામી દિવસોમાં ફરી ગુજરાતનુ રાજકારણ ગરમાશે.