Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પતંગ ઉદ્યોગનું અંદાજે રૂપિયા ૬૨૫ કરોડનું ટર્ન ઓવર, ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકોને મળે છે રોજગારી

cm patel
, સોમવાર, 9 જાન્યુઆરી 2023 (10:41 IST)
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ ૨૦૨૩ના શુભારંભ પ્રસંગે કહ્યું કે,  વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલી કાઇટ ફેસ્ટીવલની પરંપરા  આજે  વૈશ્વિક ઓળખ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતના વિકાસની પતંગ સતત બે દાયકાથી નવી ઉંચાઇઓ પાર કરી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે,  પતંગ મહોત્સવ આકાશને આંબવાનો, નવી ઉંચાઇઓ સર કરવાનો અવસર છે. પતંગ ઉન્નતિ, પ્રગતિ અને ઉડાનનું પ્રતિક છે અને  કાઇટ ફેસ્ટિવલ જેવા ગુજરાતના તહેવારો ઇન્ટરનેશનલ એટ્રેક્શન બન્યા છે. 
 
આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવના 2023 ની વાત કરતા મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષનો પતંગ મહોત્સવ આપણે જી-ટ્વેન્ટીની થીમ - 'વસુધૈવ કુટુંમ્બકમ' સાથે ઉજવી રહ્યાં છીયે. વડાપ્રધાનના નેતૃત્વમાં ભારત પ્રથમવાર જી-ર૦ દેશોની બેઠકોની યજમાની કરી રહ્યું છે. વડાપ્રધાનએ ભારતની છબી વૈશ્વિક મંચો ઉપર જે રીતે સુદ્રઢ - ઉજળી બનાવી છે તેને કારણે આવા વૈશ્વિક મહાસંમેલનો ભારતમાં યોજાવા લાગ્યા છે. એટલું જ નહિ ગુજરાતને પણ જી-ટવેન્ટીની ૧પ જેટલી બેઠકોની યજમાની કરવાની તક મળી છે એ આપણાં ગુજરાત માટે એક ગૌરવની વાત છે.
 
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનના દ્રષ્ટિવંત નેતૃત્વમાં ભારતમાં ડિજિટલ ઇકોનોમીથી લઇ ડીફેન્સના ક્ષેત્રે મોટા પાયે બદલાવો આપણે જોયા છે. ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી ઇકોનોમી બની ચૂકયું છે અને  સૌથી ઉંચા દરે વિકાસ પણ કરી રહ્યું છે. તેમણે વધુમાં કહ્યું કે,  આ અમૃતકાળમાં ભારતના વિકાસને વધુ ઉંચાઇએ લઇ જઇ વિકસિત રાષ્ટ્રના નિર્માણનો આપણો સંકલ્પ છે. તેને સાકાર કરવા વડાપ્રધાનના નેતૃત્વમાં ગુજરાત સંપૂર્ણ સજ્જ છે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો.ગુજરાતના વિકાસની યાત્રા અવિરત રાખવા આપણે પ્રવાસન અને રોજગાર જેવા વિષયો ઉપર વિશેષ ભાર આપ્યો છે. આજનો આ કાઇટ ફેસ્ટીવલ તેનું ઉદાહરણ છે.
 
ગુજરાતના  પતંગ ઉદ્યોગ અંગે  મુખ્યમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાને આપણા પરંપરાગત તહેવારો, ઉત્સવોને જનભાગીદારી સાથે લોકઉત્સવ તરીકે ઉજવવાની નવતર પરંપરા આપી છે.  આના પરિણામે બે દાયકા પહેલાં ગુજરાતમાં જે પતંગોનો વેપાર માત્ર ૮ થી ૧૦ કરોડ રૂપિયાનો હતો હવે દેશની કાઇટ ઇન્ડસ્ટ્રીનો ૪૦ ટકા હિસ્સો એકલુ ગુજરાત ધરાવે છે. વાર્ષિક ટર્ન-ઓવર રૂપિયા ૬૨૫ કરોડ છે અને લગભગ ૧ લાખ ૩૦ હજાર જેટલા લોકો પતંગ ઉદ્યોગમાં રોજગાર મેળવે છે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.
 
આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સ્વાગત પ્રવચન કરતા પ્રવાસન મંત્રી મુળૂભાઈ બેરાએ જણાવ્યું હતું કે, ૧૪ જાન્યુઆરીના રોજ મકરસંક્રાંતિ પર્વનું મહાત્મ્ય છે, ઉત્તરાયણને અબાલ-વૃદ્ધ સહુ સાથે મળી માણીએ છીએ. તેમણે વધુમાં કહ્યું કે, સૂર્યનારાયણ ઉત્તરાર્ધ તરફ આવતા હોવાથી આકાશમાં પતંગ ઉડાવી આપણે ઉજવણી કરીએ છીએ, ઉત્તરાયણની ઉજવણીમાં પ્રકૃતિના જતનનો સંદેશ છે. ઉત્તરાયણમાં આકાશ સ્વછ બને છે. જે ઈશ્વર અને માણસના સંદેશા વ્યવહાર ઝડપી બનાવે છે. તેમણે કહ્યું કે, ઉત્તરાયણને પ્રવાસન વિભાગે પોતાના કેલેન્ડરમાં આગવું સ્થાન આપીને આપણી સંસ્કૃતિ અને સભ્યતાને એક આગવી ઓળખ આપવાનો પ્રયાસ કર્યો છે.
 
મુળૂભાઈ બેરાએ વધુમાં જણાવ્યું કે, છેલ્લા ૨ દાયકામાં રાજ્યના વિકાસની ચારેકોર થતી પ્રશંસામાં પતંગોત્સવ પણ અભિન્ન છે. પતંગોત્સવમાં દેશવિદેશના પતંગબજો સહભાગી બને છે. અમદાવાદ સહિત વિવિધ સ્થળો પર  પતંગોત્સવનું આયોજન થાય છે. અમદાવાદ સહિત વડોદરા, વડનગર, સોમનાથ, રાજકોટ, ધોલેરા, ધોરડોમાં પતંગોત્સવ-૨૦૨૩નું આયોજન કરવામાં આવ્યું છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવથી વિદેશી પ્રવાસીઓની સંખ્યા વધી છે. આવા ઉત્સવોની ઉજવણી થકી રાજ્યના અર્થતંત્રને વેગ મળવાની સાથોસાથ રોજગારીની તકો પણ વધી છે. ઉત્તરાયણના તહેવાર પર વિવિધ રંગો આકાશમાં છવાઈ જાય છે, જે ધાર્મિક વિવિધતામાં એકતા અને ઉલ્લાસના રંગોનું પ્રતીક છે. 
 
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર આયોજિત પતંગોત્સવમાં કુલ ૬૮ દેશોના ૧૨૫ જેટલા પતંગબાજો, 14 રાજ્યોના ૬૫ પતંગબાજો તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓના ૬૬૦થી વધુ પતંગબાજો સામેલ થયા છે. આંતરરાષ્ટ્રીય પતંગોત્સવની ઉજવણીમાંથી અન્ય રાજ્યો શીખ લઈ સંસ્કૃતિ અને પ્રકૃતિનું જતન કરે તે જરૂરી છે.
 
- મહોત્સવમાં ભાગ લેનાર દેશોની યાદી
ઓસ્ટ્રેલિયા, કેનેડા, ફ્રાંસ,રશિયા, જર્મની, ગ્રીસ, ઇઝરાઇલ, ઇજિપ્ત, કોલમ્બિયા, ડેન્માર્ક, ન્યૂઝીલેન્ડ, ઇન્ડોનેશિયા, ઈટલી, મેક્સિકો, સાઉથ આફ્રિકા, બેલ્જિયમ, બહેરીન, ઈરાક,  મલેશિયા, પોલેન્ડ, મોરેશિયસ, પોર્ટુગલ, સ્વીઝરલેન્ડ, નેધરલેન્ડ, શ્રીલંકા, નેપાળ, જોર્ડન, ઝિમ્બાબ્વે, અલ્જિરિયા, બેલારુસ સહિત 68 દેશો ઉપરાંત ભારતનાં 14 રાજ્યોના પતંગબાજો આ આંતરરાષ્ટ્રીય પતંગોત્સવમાં સહભાગી બન્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

વ્યાજખોરોની ચુંગાલમાંથી ગરીબ પરિવારોને મુકત કરાવવા લેવાયો મહત્વનો નિર્ણય