સરકારે ઉનાના દલિત કાંડના પિડીતો સાથે છેતરપિંડી કરી - જિજ્ઞેશ મેવાણી
Publish Date: Wed, 21 Mar 2018 (14:27 IST)
Updated Date: Wed, 21 Mar 2018 (14:28 IST)
ઉના દલિત કાંડના પીડિતો સાથે સરકારે છેતરપિંડી આચરી હોવાનો ગંભીર આરોપ અપક્ષ ધારાસભ્ય જિજ્ઞેશ મેવાણી દ્વારા સરકાર પર મૂકવામાં આવ્યો છે. તેમણે કહ્યું હતું કે આનંદીબેન સરકારે આપેલું વચન રૂપાણી સરકારે પાળ્યુ નથી. જિજ્ઞેશ મેવાણીએ આ મામલે કહ્યું હતું કે સરકાર દ્વારા પીડિતો સાથે છેતરપિડી કરવામાં આવી છે. ઉનાના સમઢિયાળા ગામ ખાતે દલિતો પર થયેલા અત્યાચાર બાદ તત્કાલિન મુખ્યમંત્રી આનંદીબેન દ્વારા જાત મુલાકાત લઈને સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. પીડિતોને ઘરનો પ્લોટ, બીપીએલ કાર્ડ, ખેતીની જમીન સરકારી નોકરી આપવાની સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી જે આજ દિન સુધી પૂરી થઈ નથી. આનંદીબેન પછી સત્તા સંભાળનારા અને હાલમાં પણ મુખ્યમંત્રી તરીકે કામકરતા વિજય રૂપાણીએ આનંદીબેને આપેલા વચનોની પૂર્તિ કરી નથી. પૂર્વ સરકારે કરેલી જાહેરાત હાલમાં સરકારના રેકર્ડ પર ન હોવાનું પણ તેમણે કહ્યું હતું. સરકાર તરફથી કોઈ મદદ ન મળતાં આગામી 29મી માર્ચે પીડિત પરિવાર દ્વારા બૌદ્ધ ધર્મ અંગીકાર કરવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આશરે દોઢ વર્ષ બાદ દલિત પીડિત પરિવારના સભ્યો મંગળવારે 20 માર્ચે જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને જિલ્લા કલેક્ટને હિન્દૂ ધર્મનો ત્યાગ કરી બૌદ્ધ ધર્મ અપનાવવા જઈ રહ્યાં હોવાનું આવેદન પત્ર મારફતે જાણ કરી હતી.
આગળનો લેખ