Publish Date: Mon, 10 Dec 2018 (16:58 IST)
Updated Date: Mon, 10 Dec 2018 (17:01 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ વિશ્વાસુ તેમજ તેમના પીઆરઓ (જન સંપર્ક અધિકારી) જગદીશ ઠક્કરનું નિધન થયું છે. જગદીશ ઠક્કર વર્ષ 2001થી મોદીના પીઆરઓ તરીકે કામ કરતા હતા. નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે જગદી ઠક્કરને દિલ્હી બોલાવી લીધા હતા. જગદીશ ઠક્કરની ઉંમર 70 વર્ષ હતી. તેઓ એક સારા પત્રકાર હતા. જગદીશભાઈ 1986થી ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલયમાં કામ કરતા હતા. તેમણે ગુજરાતના અનેક મુખ્યમંત્રીઓ સાથે કામ કર્યું છે. તેઓ સાદગી અને જોશીલા સ્વાભાવ માટે જાણીતા હતા. છેલ્લા ત્રણ મહિનાથી દિલ્હીની એઇમ્સ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી. તેમનું મોત મલ્ટી ઓગર્ન ફેલ્યોરને કારણે તેમનું નિધન થયું છે
જ્યારે નરેન્દ્ર મોદી ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારે પણ જગદીશ ઠક્કર તેમના પીઆરઓ હતા. મોદીનાં સૌથી નજીક અને વિશ્વાસપાત્ર લોકોની યાદીમાં તેમનું નામ આવે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને જગદીશભાઈ ના નિધન અંગે દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે કહ્યું કે જગદીશભાઈ પીઢ પત્રકાર હતા. મેં વર્ષો સુધી તેમની સાથે કામ કર્યું છે. ગુજરાત અને દિલ્હીમાં તેમની સાથે કામ કરવાનો અનુભવ ખૂબ જ સારો રહ્યો. તેઓ પોતાની સાદગી અને જોશીલી પ્રકૃતિ માટે જાણીતા હતા.
નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા બાદ તેમણે પોતાના ખાસ વિશ્વાસુ એવા જગદીશભાઈ માટે વડાપ્રધાન કાર્યાલયમાં જનસંપર્ક અધિકારીની જગ્યા ઉભી કરી હતી. એવું પ્રથમ વખત બન્યું હતું કે દેશના વડાપ્રધાન અને તેમના પીઆરઓ પણ ગુજરાતી હોય.જગદીશ ઠક્કર મુખ્યમંત્રી કાર્યાલયમાં જન સંપર્ક અધિકારી (પબ્લિક રિલેશન ઓફિસર) તરીકેની ફરજ બજાવતા હતા. તેઓ વર્ષ 2004માં અધિક નિયામક પદ પર હતા ત્યારે નિવૃત્ત થયા હતા. જોકે, નરેન્દ્ર મોદીએ તેમની સેવા ચાલુ જ રાખી હતી. જગદીશભાઈ ઠક્કરનું મૂળ વતન ભાવનગર હતું. તેઓ 1966-67માં માહિતી ખાતામાં જોડાયા હતા. મળતી માહિતી પ્રમાણે નરેન્દ્ર મોદીની મુલાકાતો, જાહેર કાર્યક્રમોની સ્પીચ તૈયાર કરવી, મીડિયા સાથેના સંપર્ક વગેરે કામોમાં જગદીશભાઈને ફાવટ આવી ગઈ હતી.