Publish Date: Mon, 06 Apr 2020 (17:40 IST)
Updated Date: Mon, 06 Apr 2020 (17:39 IST)
રાજ્યમાં સતત ચિંતાજનક રીતે કોરોના પોઝિટિવ કેસના આંકડાઓ વધી રહ્યાં છે. અત્યારસુધીમાં રાજ્યના 15 જિલ્લાઓમાં કોરોનાનો ચેપ પ્રસરી ચૂક્યો છે. મુખ્યમંત્રીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું છેકે, કોરોના સામેની લડાઈના સાધનો ગુજરાતમાં જ બની રહ્યાં છે. રાજકોટની કંપનીએ વેન્ટિલેટર બનાવ્યું છે અને તેનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું છે. ગુજરાતની બે કંપનીઓએ પીપી કીટનું ઉત્પાદન કરી રહી છે. રાજ્યના ચાર મહાનગરોમાં 2200 બેડની હોસ્પિટલ તૈયાર કરવામાં આવી છે અને કાર્યરત કરાઈ છે. બાકીના 29 જિલ્લામાં 100 બેડની કોવિડ હોસ્પિટલ ચારથી પાચ દિવસમાં તૈયાર કરવા સૂચના આપવામાં આવી છે. અમદાવાદના છ વિસ્તારો જેમાં બાપુનગરનો એક, દરિયાપુર એક, શાહઆલમ અને દાણીલીમડામાં એક અને શાહપુરમાં બે એરિયા ક્લસ્ટર ક્વૉરન્ટીન કરવામાં આવ્યા છે. વડોદરામાં નાગરાડા અને સૈયદપુરા, સુરતમાં સચિન અને ભાવનગરના એક વિસ્તારમાં આ જ રીતની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કોરોનાની અપડેટ આપતા આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ જણાવ્યું છેકે, રાજ્યમાં વધુ 16 પોઝિટિવ કેસ નોંધાયા છે. મકરઝથી આવેલા લોકોના વિસ્તારોમાં કેસ વધી રહ્યાં છે. હોટસ્પોટ કરાયેલા વિસ્તારોમાં કેસમાં વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં 144 કેસ થયા છે. અમદાવાદમાં 11 નવા કેસ જ્યારે સુરત, મહેસાણા અને પાટણમાં એક-એક નવા કેસનોંધાયા છે. રાજ્યમાં કુલ 144 પોઝિટિવ કેસ નોંધાયા છે. જેમાંથી 11 દર્દીઓના મૃત્યુ થયા છે તો 21 દર્દીઓ સાજા થઇ જતા તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્ય માટે એ બાબત પણ હવે ચિંતા ઉપજાવે તેવી છે કે રાજ્યમાં હવે લોકલ ટ્રાન્સમિશનના કેસ વધી રહ્યાં છે. કુલ 144 પોઝિટિવ કેસમાંથી 85 જેટલા કેસ લોકલ ટ્રાન્સમિશન છે. જેના કારણે રાજ્યના અનેક શહેરોમાં સાચવેતીના ભાગરૂપે સમગ્ર વિસ્તારને ક્વૉરન્ટીન કરવામાં આવી રહ્યું છે.