Publish Date: Wed, 03 Feb 2021 (12:40 IST)
Updated Date: Wed, 03 Feb 2021 (12:41 IST)
કોરોના કાળમાં લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ટ્રેનો બંધ કરી દેવામાં આવી હતી. માત્ર સ્પેશિયલ ટ્રેનો જ દોડાવવામાં આવતી હતી. ત્યારે હાલમાં સરકારે અનલૉકની મોટી પ્રક્રિયા હાથ ધરતાં એક અરજદારે અમદાવાદથી વાપી વચ્ચેની ટ્રેન શરૂ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી. આ અરજીને લઈને આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે વિભાગે જવાબ રજુ કરતાં કહ્યું હતું કે હાલમાં 8 જેટલી પેસેન્જર ટ્રેન શરૂ કરી શકાય તેમ નથી. અમે કેન્દ્ર સરકારની SOPનું પાલન કરીએ છીએ. અરજદારે હાઈકોર્ટમાં અરજી કરી હતી કે અન્ય શહેરોની ટ્રેન સેવાની સાથે વાપીની ટ્રેન શરૂ કરવામાં આવે. કોરોના કાળમાં બંધ થયેલા ધંધા રોજગાર હવે શરૂ થવાથી નોકરિયાત વર્ગને અવર જવરમાં મોટી તકલીફો પડે છે. આ અરજીને લઈને આજે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં રેલવે વિભાગે પોતાનો જવાબ રજુ કર્યો હતો. રેલવે વિભાગે હાઈકોર્ટમાં જણાવ્યું હતું કે અમે કેન્દ્ર સરકારે જાહેર કરેલી SOPનું પાલન કરી રહ્યાં છીએ. કોરોના વાયરસના સંક્રમણની વચ્ચે હાલમાં 8 જેટલી પેસેન્જર ટ્રેનો શરૂ કરી શકાય તેમ નથી. બીજી બાજુ રાજ્ય સરકારે પણ હાઈકોર્ટમા જવાબ રજુ કર્યો હતો. સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે કોરોના વાયરસના સંક્રમણને લીધે લગાવવામાં આવેલા લૉકડાઉનમાં ટ્રેન સેવા બંધ કરવામાં આવી હતી. હાલમા રાજ્યમાં 33 ટ્રેનોમાં પાસ હોલ્ડરો લાભ લઈ રહ્યાં છે. અન્ય રાજ્યોમાં ટ્રેન સેવા ચાલુ છે. જેથી હવે રેલવે તંત્ર ટ્રેન સેવા ચાલુ કરવી કે નહીં તેનો નિર્ણય લેશે.