Publish Date: Sat, 04 Apr 2026 (18:31 IST)
Updated Date: Sat, 04 Apr 2026 (18:37 IST)
આણંદ જિલ્લાની ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટાચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટીએ આજે ભવ્ય રેલી અને જનસભા યોજીને પોતાની તાકાત બતાવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાસ ઉમરેઠ પહોંચ્યા હતા અને કાર્યકરોમાં ઉત્સાહ ભર્યો હતો. મુખ્યમંત્રીએ જાહેરસભાને સંબોધતા જણાવ્યું હતું કે ભાજપ હંમેશા વિકાસના એજન્ડા પર ચૂંટણી લડે છે અને ઉમરેઠની જનતાના આશીર્વાદ ફરી એકવાર પક્ષને મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
હર્ષદ પરમારે 'વિજય મુહૂર્ત'માં ભર્યું નામાંકન
જાહેરસભા બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે મામલતદાર કચેરી ખાતે પોતાનું ઉમેદવારી પત્ર રજૂ કર્યું હતું. બપોરે વિજય મુહૂર્તમાં ફોર્મ ભરતી વખતે પક્ષના વરિષ્ઠ નેતાઓ અને મોટી સંખ્યામાં સમર્થકો હાજર રહ્યા હતા. હર્ષદ પરમાર દિવંગત ધારાસભ્ય ગોવિંદભાઈ પરમારના પુત્ર છે, અને પક્ષે તેમના પિતાના વારસા અને સ્થાનિક પ્રભાવ પર ભરોસો મૂકી તેમને મેદાનમાં ઉતાર્યા છે.
કોંગ્રેસે અનુભવી નેતા ભૃગુરાજસિંહને ઉતાર્યા
બીજી તરફ, કોંગ્રેસ પાર્ટીએ પણ આ બેઠક જીતવા માટે મજબૂત રણનીતિ બનાવી છે. કોંગ્રેસે બહોળો રાજકીય અનુભવ ધરાવતા ભૃગુરાજસિંહ ચૌહાણને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે. ભૃગુરાજસિંહ ઉમરેઠ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ રહી ચૂક્યા છે અને સહકારી ક્ષેત્રમાં પણ તેમનું મોટું નામ છે. રાહુલ ગાંધી અને પ્રદેશ નેતૃત્વ સાથેની ચર્ચા બાદ તેમના નામ પર મહોર મારવામાં આવી છે, જેનાથી આ જંગ હવે રસપ્રદ બન્યો છે.
પિતાના વારસા અને સંગઠન વચ્ચેની ટક્કર
આ પેટાચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપના હર્ષદ પરમાર અને કોંગ્રેસના ભૃગુરાજસિંહ ચૌહાણ વચ્ચે માનવામાં આવી રહ્યો છે. ભાજપ ગોવિંદભાઈ પરમારના નિધન બાદ ઉભી થયેલી સહાનુભૂતિ અને સંગઠનની શક્તિના જોરે બેઠક જાળવી રાખવા માંગે છે. જ્યારે કોંગ્રેસ ભૃગુરાજસિંહના પર્સનલ નેટવર્ક અને સ્થાનિક પ્રશ્નોને આગળ ધરીને ભાજપના ગઢમાં ગાબડું પાડવાના પ્રયાસમાં છે.
ચૂંટણીનું શિડ્યુલ અને મહત્વ
ઉમરેઠની આ બેઠક પર આગામી 23 એપ્રિલ, 2026 ના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. ચૂંટણીના પરિણામો 4 મે ના રોજ જાહેર થશે. લગભગ 2.4 લાખથી વધુ મતદારો ધરાવતી આ બેઠક બંને પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. રાજકીય વિશ્લેષકોના મતે, આ પરિણામો આગામી સમયમાં રાજ્યના રાજકીય સમીકરણો પર પણ અસર પાડી શકે છે.