Publish Date: Mon, 09 Dec 2019 (17:01 IST)
Updated Date: Mon, 09 Dec 2019 (17:02 IST)
ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ એવા અરબી સમુદ્રના સરક્રીક વિસ્તારમાં પાકિસ્તાને ગોરીલા હુમલો કરી શકે તેવી એક સાથે ચાર-ચાર મીની સબમરીનો ઉતારતાં હડકંપ મચી જવા પામ્યો છે અને ભારતીય સુરક્ષાદળોએ આ હિલચાલને અતિ ગંભીર ગણાવી છે.મળતા અહેવાલોને પ્રમાણે તુર્કી બનાવટની આ મીની સબમરીન રડાર પર સરળતાથી ડિટેકટ કરી શકાતી નથી તેથી આ મામલો વધુ ગંભીર બનવા પામ્યો છે.
દરમ્યાન,ગુપ્તચર એજન્સીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દવારા ભારતમાં ટાર્ગેટ કરવાનું એક નવું લિસ્ટ બનાવાયું છે જેમાં ગુજરાતનાં, ખાસ કરીને કચ્છમાં આવેલા મહત્વપૂર્ણ વ્યૂહાત્મક મથકોનો સમાવેશ કરવામાં આવ્યો છે.આ નવા ’નાપાક’ લિસ્ટમાં પોરબંદરના નેવલ બેઝ ઉપરાંત કચ્છમાં આવેલા ભુજ અને નલિયા ઐરબેઝનું નામ બીજા જ ક્રમે હોવાને કારણે ભારતીય સુરક્ષા દળો ઉપરાંત ઇન્ટેલિજન્સ એજન્સીઓ પણ ચોંકી ઉઠી છે.
થોડા દિવસ પહેલા જ તુર્કીનાં સેનાધ્યક્ષની પાક મુલાકાત બાદ ભારત-પાકિસ્તાન વચ્ચેની આંતરરાષ્ટ્રીય જળસીમાનાં અતિ સંવેદનશીલ સરક્રિકના વિસ્તાર માટે ખાસ તૈયાર કરવામાં આવેલી આ ચાર મીની સબમરીન હાલ કરાંચીના કેટી બંદર પાસેનાં કિયોમારી પોર્ટ ઉપર રાખવામાં આવી છે. જે ટૂંક સમયમાં કચ્છને અડકીને આવેલા પાકિસ્તાનના ક્રીક વિસ્તારમાં ફરતી થઈ જશે. ભારતીય સુરક્ષા દળો દ્વારા આ મહત્વની બાબત અંગે કેન્દ્રના ગૃહ વિભાગને જાણ કરી દેવામાં આવી હોવાનું જાણવા મળે છે.
પરંપરાગત સબમરીન કરતા નાની દેખાતી આ ટર્કીશ બનાવટની પનડુબ્બીને ડિટેકટ કરવી મુશ્કિલ હોવાને કારણે સમગ્ર મામલો ચિંતાનો વિષય હોવાનું ભારતીય ઇન્ટેલિજન્સ એજન્સીના સૂત્રો માની રહ્યા છે.