Publish Date: Tue, 05 Feb 2019 (12:46 IST)
Updated Date: Tue, 05 Feb 2019 (12:50 IST)
હાલમાં ગુજરાતમાં કોંગ્રેસમાં કકળાટ વધી રહ્યો છે. વિપક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા વિરૂદ્ધ પક્ષમાં જ વિરોધ થઈ રહ્યો છે. હવે કાર્યકરો આ બંને નેતાઓની વિરૂદ્ધમાં હાઈકમાન્ડને ફરિયાદ કરવા માટે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને મળવાનો સમય માંગી રહ્યાં છે. એક તરફ કોંગ્રેસના ઉંઝાના ધારાસભ્યએ રાજીનામું આપી દેતાં કોંગ્રેસમાં ખળભળાટ મચેલો છે. તો બીજી બાજુ કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરની ભાજપમાં જોડાઈ જવાની વાતથી પણ રાજકારણ ગરમાઈ રહ્યું છે. ત્યારે ફરીવાર કોંગ્રેસમાં જાણે બળતામાં ઘી હોમાયું હોય તેમ સુરતના ભાજપના મહિલા ધારાસભ્યએ કોંગ્રેસના નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનીનો દાવો માંડ્યો છે. કોંગ્રેસના પૂર્વ નેતા અર્જુન મોઢવાડિયા સામે માનહાનિનો દાવો કરવામાં આવ્યો છે. લિંબાયતના ધારાસભ્ય સંગીતા પાટીલે 5 કરોડનો દાવો કર્યો છે. આ મામલે અર્જુન મોઢવાડિયાને 25 ફેબ્રુઆરીએ કોર્ટમાં હાજર રહેવા આદેશ કરાયો છે. સંગીતા પાટીલે મહારાષ્ટ્રમાં ગ્રેજ્યુએશનની પરીક્ષા આપી હતી. તેમાં તેમણે ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ કરાયો હતો. જોકે તપાસમાં પાટીલે ગેરરીતિ ન આચરી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સંગીતા પાટીલે ટ્વિટર પર ટ્વીટ કર્યુ હતું. જેને લઈને 2 જૂને અર્જુન મોઢવાડિયાએ ટ્વીટ કર્યુ હતું કે, ‘FAKE IS USP OF BJP...’ જેના કારણે અર્જુન મોઢવાડિયાની મુશ્કેલી વધી શકે છે.