Publish Date: Thu, 28 Sep 2017 (12:17 IST)
Updated Date: Thu, 28 Sep 2017 (12:22 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જીત મેળવવી ભાજપ માટે હવે અઘરી બની રહી છે. જીત મેળવવા ભાજપે અત્યારથી રાજકીય અખતરાં શરૃ કર્યા છે. ભાજપે હવે મતોમાં ધૃવિકરણ કરવા આપ,જનવિકલ્પ,એનસીપી સહિતની વિવિધ રાજકીય પક્ષોમાં ઉમેદવારો ઉભા રાખવા આયોજન ઘડયું છે. સૂત્રોના મતે, ભાજપની પેટર્ન રહી છેકે, દરેક બેઠક પર વધુને વધુ ઉમેદવારો ઉભા રહે જેથી ભાજપના મતો અકબંધ રહે જયારે અન્ય પક્ષના મતોમાં ભાગલાં પડે. આ પેટર્ન પર જીત મેળવવા ભાજપે અત્યારથી લઘુમતી,ક્ષત્રિય,દલિત સહિત અન્ય જ્ઞાાતિના આગેવાનો સાથે સંપર્ક કર્યો છે. જેઓને મતવિસ્તારમાં આપ,જનવિકલ્પ અને એનસીપીમાં ઉમેદવારો ઉભા રાખવા જવાબદારી સોંપવામાં આવી છે. એટલું જ નહીં, અપક્ષ તરીકે પણ વધુને વધુ સંખ્યામાં ઉમેદવારો ચૂંટણી મેદાને ઝંપલાવે તેવુ આયોજન ઘડાયું છે. ઉમેદવારો ઉભા રાખવા,ચૂંટણી ખર્ચ આપવા સુધીની ભાજપે તૈયારી રાખી છે. ઘણાંએ તો, મૂરતિયા તરીકે ચૂંટણી મેદાને ઉતરવા તૈયારી સુધ્ધાં કરી લીધી છે. અત્યારે વિવિધ સમાજના આગેવાનોની ડિમાન્ડ બોલાઇ છે. ભાજપે કોને અપક્ષ તરીકે લડાવવા અને કોને કયા પક્ષમાંથી ચૂંટણીમેદાને ઉતારવો તે માટે સામાજીક આગેવાનોને કામ સોંપ્યું છે. ઉમેદવારોના નામનુ લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ભાજપને ફાયદો થાય તે રીતે અન્ય પક્ષમાં વધુ મતદાન થાય તે માટે કાર્યકરોને પણ કામ સોંપાયુ છે.