સ્થળાંતરિત લોકો માટે 10 લાખથી વધુ ફુડ પેકેટ તૈયાર કરાયા, 10 જિલ્લાની 5950 સગર્ભાઓને હોસ્પિટલ ખસેડાઈ
Publish Date: Thu, 13 Jun 2019 (17:26 IST)
Updated Date: Thu, 13 Jun 2019 (17:30 IST)
હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડું વેરાવળથી 110 કિલોમીટરની ઝડપથી દક્ષિણથી પશ્ચિમ તરફથી પોરબંદર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ તરફ 150 કિમીની ઝડપથી આગળ વધી રહ્યું છે. અગમચેતીના પગલારૂપે 10 જિલ્લામાંથી 3.70 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. 10 જિલ્લાની ફુલ 5950 સગર્ભા બહેનોને 383 એમ્બ્યુલન્સના માધ્યમથી હોસ્પિટલોમાં ખસેડવામાં આવી છે. ભાવનગરનાં કલેક્ટરે ટ્વિટ કરીને જણાવ્યું છે કે વાયુ વાવાઝોડાનાં કારણે ગઇકાલે મોડીરાતે 15 ગર્ભવતી મહિલાઓને હોસ્પિટલ ખસેડાઈ હતી. જેમાંથી 4 મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો છે. વાયુ વાવાઝોડું ભયજનક છે અને સરકારે આપેલું એલર્ટ હજુ પણ યથાવત છે. સ્થળાંતર થયેલા જે લોકો આશ્રયસ્થાનોમાં રહ્યાં છે તે લોકો ત્યાં જ રહે તેવી સૂચના આપવામાં આવી છે.
પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી રાજ્ય સરકાર તેમજ સ્વૈચ્છિક સંસ્થાઓ તરફથી વ્યવસ્થા ચાલુ જ રહેશે. વાયુ વાવાઝોડાથી પ્રભાવિત 10 જિલ્લાઓમાં હજુ સુધી એક પણ જાનહાનિ થઈ નથી.વરસાદની વર્તમાન સ્થિતિ અંગે બાયસેગના સચિવે જણાવ્યું હતું કે જે કેટલાક ગામડાઓમાં વિસ્ફોટો થયા છે. એવા તમામ ગામડાંઓમાં બપોર બાદ વીજ પ્રવાહ યથાવત થઈ જશે. જ્યારે વેરાવળ માંગરોળ સહિત સાતથી વધુ તાલુકાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ત્યારે વાવાઝોડાના સંકટ વચ્ચે પોર્ટ પર આપેલું 9 નંબરનું સિગ્નલ હજૂ યથાવત છે. સૌરાષ્ટ્રના તમામ એરપોર્ટ પણ બંધ કરી રાખવામાં આવ્યા છે.
આગળનો લેખ