Publish Date: Tue, 26 Jun 2018 (13:49 IST)
Updated Date: Tue, 26 Jun 2018 (13:54 IST)
મેહસાણા જિલ્લાના આકબા ગામમાં ટોળા દ્વારા એક 18 વર્ષીય દલિત યુવકની ધોલાઈ કરી હોવાની ઘટના ઘટી છે.પોતાની બાઈક પર શિવાજીનું સ્ટીકર લગાવવાને કારણે જયદેવ પરમાર નામના યુવક સાથે મારપીટ કરવામાં આવી હતી. સોમવારના રોજ પોલીસે પાંચ યુવકોની ધરપકડ કરી છે. IPC અને એટ્રોસિટી એક્ટની અલગ અલગ કલમો અંતર્ગત તેમના વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.જયદેવ પરમારે ફરિયાદમાં જણાવ્યું કે, તેણે જ્યારથી બાઈક પર શિવાજીનું સ્ટીકર લગાવ્યું ત્યારથી ગામના અમુક લોકો તેને હેરાન કરતા હતા. જયદેવના પરિવારના એક 70 વર્ષીય મહિલા ચાંચલ પરમારે જ્યારે તેને બચાવવાનો પ્રયત્ન કર્યો તો તેમની સાથે પણ દુર્વ્યવહાર કરવામાં આવ્યો. જયદેવ અને તે મહિલાને બહુચરાજીની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના એક્ટિવિસ્ટ રમેશ પરમાર જણાવે છે કે, બહુચરાજી તાલુકા અને મેહસાણા જિલ્લામાં દલિતો સામેના અત્યાચારની ઘટનાઓ વધી રહી છે. તેમણે આગળ જણાવ્યું કે, તાજેતરમાં જ વિઠ્ઠલપુરમાં એક દલિત યુવાનને માર મારવામાં આવ્યો હતો. આ પહેલા બેચર ગામમાં દલિતોને કુવામાંથી પાણી ભરવા દેવામાં નહોતા આવતા. રાંતેજ ગામના મેળામાં દલિતોને અલગ પંગતમાં જમવા બેસાડવામાં આવ્યા હતા. આ સિવાય બહુચરાજી તાલુકામાં દલિત યુવાનોને લગ્ન સમયે વરઘોડો કાઢવાની મંજૂરી નથી, તે લોકો મંદિરમાં પ્રવેશી નથી શકતા અને ગામના સ્મશાનમાં અંતિમક્રિયા પર પણ પ્રતિબંધ છે.