Publish Date: Wed, 28 Mar 2018 (10:51 IST)
Updated Date: Wed, 28 Mar 2018 (10:53 IST)
કોંગ્રેસ હાઈ કમાન્ડે હવે ભરત સિંહ સોલંકીનું રાજીનામું સ્વીકારી લીધું હોવાનું સામે આવી રહ્યું છે. કારણ કે ગુજરાત કોંગ્રેસના પ્રમુખ પદ પર આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાની પસંદગી કરવામાં આવી છે. અમિત ચાવડાએ ભરતસિંહ સોલંકીના પિતરાઈ ભાઈ છે. ભરત સિંહ સોલંકી સામે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસના જ કાર્યકરો અને નેતાઓનો વિરોધ કરી રહ્યા હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન પર ભરતસિંહ સોલંકીએ રાજીનામું આપ્યાની અફવા પણ ઊડી હતી. જોકે તે સમયે કોંગ્રેસ અને ભરતસિંહ સોલંકીએ અફવા ગણાવી હતી. આ અંગે કોંગ્રેસ તરફથી પૂર્વ સાંસદ તેમજ જનરલ સેક્રેટરી જનાર્દન દ્વિવેદીએ અખબાર યાદીમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમિત ચાવડાની ગુજરાત પ્રદેશ કોંગ્રેસ કમિટિના અધ્યક્ષ તરીકે વરણી કરી છે. તેઓ ભરસિંહ સોલંકીનું સ્થાન લેશે. અધ્યક્ષ તરીકે ભરતસિંહે કરેલા ઉત્તમ કાર્યને પક્ષ બિરદાવે છે. રાહુલ ગાંધી કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ ગુજરાતમાં પાર્ટીને મજબૂત બનાવવા માટે તમામ પ્રયત્નો કરી રહ્યા છે. નવી ટીમ બનાવી રહ્યા છે તેમજ પાર્ટીને લગતા નિર્ણયો ખુબ ઝડપથી કરી રહ્યા છે. ત્યારે હવે જોવાનું રહેશે કે નવા પ્રદેશ પ્રમુખ ગુજરાતમાં કોંગ્રેસને કેટલી સફળતા અપાવે છે.