Publish Date: Fri, 22 Dec 2017 (15:55 IST)
Updated Date: Fri, 22 Dec 2017 (15:57 IST)
રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં ફરજ બજાવતા પ્રવાસી શિક્ષકો માટે માઠા સમાચાર છે, જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે જેમાં લગભગ 7 હજાર જેટલા પ્રવાસી શિક્ષકોને 31 ડિસેમ્બર 2017 બાદ ફરજ મુક્ત કરવાની કહેવામાં આવ્યું છે. માહિતી પ્રમાણે, રાજ્યમાંથી લગભગ 7000 જેટલા પ્રવાસી શિક્ષકો ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતરીય માધ્યામિક શાળાઓમાં ફરજ બજાવી રહ્યાં છે. જેઓને 1લી જાન્યુઆરી 2018થી ફરજમુક્ત કરવામાં આવશે. આ અંગેનો પરિપત્ર દરેક જિલ્લા શિક્ષણાધિકારી કચેરીઓએ આપી દીધો છે. આ નિર્ણયને લઇને હવે બોર્ડ પરીક્ષા, ધોરણ 9 અને 11માંની વાર્ષિક પરીક્ષા પર ગંભીર અસર પડી શકે છે. ગુજરાત રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાઓમાં શિક્ષકોની ભારે ઘટ રહેતી હોવાના કારણે સરકારના શિક્ષણ વિભાગ દ્વારા તા. 21-12-2015થી શિક્ષકોની ખાલી જગ્યા પર માનદ વેતનથી પ્રવાસી શિક્ષકોની નિમણૂંક કરવાની યોજના અમલમાં મુકવામાં આવી હતી. જેને પગલે અત્યારે રાજ્યમાં લગભગ 7 હજારથી વધુ પ્રવાસી શિક્ષકો શિક્ષણનું કાર્ય સંભાળી રહ્યાં છે. કમિશ્નર માધ્યમિક શાળાઓના તા. 2-6-2017ના પરિપત્રથી આ શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જ લેવાની હોય રાજ્યના અનેક જિલ્લા શિક્ષણાધિકારીઓની કચેરી દ્વારા પ્રવાસી શિક્ષકોની સેવા તા.31-12-2017 સુધી જે
લેવા અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે, જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા ફેલાઇ ગઇ છે.