Publish Date: Tue, 03 Aug 2021 (08:42 IST)
Updated Date: Tue, 03 Aug 2021 (08:56 IST)
3 વર્ષની બાળકીએ રમત રમતમાં મોંઢામાં નાખેલી સેફ્ટી પિન સ્વરપેટીના સ્વરતંતુમાં ફસાઇ જતાં બાળકી શ્વાસ લેવા તરફડિયા મારતી હતી તેવી હાલતમાં સોલા સિવિલ હોસ્પિટલમાં લવાઈ હતી. હોસ્પિટલના ઇએન્ડટી વિભાગના તબીબોની ટીમે સફળતાપૂર્વક સેફ્ટી પિન કાઢીને જીવ બચાવ્યો છે. સોલા સિવિલના ઇએન્ડટી વિભાગના વડા ડો. નીના ભાલેડિયા જણાવે છે કે, શુક્રવારે સાંજે હોસ્પિટલના ઇએન્ડટી વિભાગમાં 3 વર્ષની બાળકીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોવાથી તરફડિયા મારતી હાલતમાં લવાઇ હતી.
માતા-પિતાને પૂછતા બાળકી રમતા રમતા સેફ્ટી પિન ગળી ગઇ હોવાનું જણાવ્યું હતું. જેથી અમે તાત્કાલિક બાળકીને ઓપરેશન થિયેટરમાં લઇને તપાસ કરતાં સેફ્ટી પિન સ્વરપેટીમાં સ્વરતંતુ પાસે ફસાઇ હોવાથી શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી. જેથી મારી સાથે ડો. સિમ્પલ બદાનીયા અને ટીમે બાળકીને બેભાન કરીને સેફ્ટી પિન બહાર કાઢી હતી. આ પ્રકારની પ્રોસિજરમાં તબીબનો અનુભવ અને તાત્કાલિક નિર્ણયથી નાની ભૂલથી પણ બાળકનું ઓપરેશન ટેબલ પર મોત થવાની શક્યતા હોય છે.શ્વાસનળી મનુષ્યના ગળામાં શ્વાસ લેવાનું અને બોલવાનું બે અગત્યના કામ કરે છે. જયારે પુખ્ત વ્યકિત કરતાં બાળકોની શ્વાસનળી અને સ્વરતંતુ (ડાયામીટર) પ્રમાણમાં નાનો હોય છે, જેથી જયારે કોઇપણ વસ્તુ(ઓબ્જેક્ટીવ) ખોરાક અથવા કોઇ ધાતુ અટકી જાય ત્યારે શ્વાસોશ્વાસની સમસ્યા સર્જાતા શ્વાસ લેવા માટે તરફડિયા મારે છે. જેથી તેને તાત્કાલિક કાઢવી જરૂરી બને છે.બ્રોન્કોસ્કાપી (ગળામાં દૂરબીન ઉતારીને)થી કરાય છે, બાળકના ગળામાં રહેલી સ્વરપેટી અને સ્વરતંતુ ઘણાં જ નાજુક હોય છે. જેથી સર્જરી સમયે નાની ભૂલથી પણ ગળામાં ઉતારેલા સાધનથી સ્વરપેટી કે સ્વરતંતુને નુકસાન થતાં બાળકનું ઓપરેશન ટેબલ પર મોત થવાની શક્યતા હોય છે. જો સ્વરતંતુમાં ફસાયેલી વસ્તુ કાઢતી વખતે ઘસરકો પડવાથી સોજો આવી શકે છે, અને 6થી 24 કલાકમાં બાળકનું મૃત્યુ થઈ શકે છે.