Publish Date: Wed, 22 Feb 2017 (13:34 IST)
Updated Date: Wed, 22 Feb 2017 (13:40 IST)
ઉત્તરપ્રદેશ ચૂંટણીમાં ગુજરાતના ગધેડાઓ પર મોટા-મોટા નેતાઓની વચ્ચે ખૂબ નિવેદનબાજીઓ થઇ રહી છે. અખિલેશ યાદવે અભિનેતા અમિતાભ બચ્ચનને ગુજરાતના ગધેડાઓનો પ્રચાર ન કરવાની અપીલ કરી આ મુદ્દા પર ચર્ચાઓ શરૂ થઇ હતી. 2010મા જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે અમિતાભ બચ્ચન ગુજરાત ટુરિઝમના બ્રાન્ડ એમ્બેસેડર હતા. ત્યારબાદ તેમણે ગુજરાતમાં ટુરિઝમ સ્થળોને લઇને ઘણી જાહેરાતો કરી હતી. એક જાહેરાતમાં ગુજરાતના ગધેડાઓનો પણ સીન છે. આ જંગલી ગધેડાને ગુજરાતમાં ઘુડખરના નામથી ઓળખાય છે. લુપ્ત થવાના આરે આ ઘુડખરોની સંખ્યા અંદાજે 4500 છે. આ ઉત્તર ભારતના શહેરોમાં સામાન્ય રીતે ઇંટો કે સામાન ઉપાડવા માટે ઉપયોગમાં લેવાતા સામાન્ય ગધેડાઓ જેવા નથી હોતા. ઘુડખર એક કલાકમાં 70 કિલોમીટરની ઝડપે દોડી શકે છે. એટલે કે ઘોડાની જેમ. આ પ્રાણીની ઉછળવાની ક્ષમતા પણ ગજબની છે. તેની એક ખાસિયત એ પણ છે કે જો ઘુડખરના શરીર પર મહિનાઓ સુધી પાણીનું ટીપુંય ના પડે તો પણ તે એકદમ ચોખ્ખો દેખાય છે. અંદાજે 210 સેન્ટીમીટર લાંબા આ ઘુડખરોનું વજન 250 કિલોગ્રામ સુધીનું હોય છે. ગુજરાતમાં ઘુડખરો માટે 5000 વર્ગ કિલોમીટરમાં વાઇલ્ડ એસ સેંન્ચયુરી પણ બનાવામાં આવી છે. કચ્છ જેવા ખારા રણમાં ઘુડખર જેવા તાકતવર અને સ્ફૂર્તિલા જાનવર ઘણા ઓછા છે. આ વિસ્તારમાં એક ખાસ પ્રકારનું ઝાડ હોય છે, જે ઘુડખર ખાય છે અને હંમેશા ઝૂંડમાં જ ચાલે છે. 2016ના વર્ષમાં ઇન્ટરનેશનલ યુનિયન ફોર કંઝર્વેશન ઑફ નેચરે ઘુડખરને વિલુપ્ત થતા પ્રાણીઓમાં સામેલ કર્યા હતા