Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતમાં જૈશના 50 ત્રાસવાદી ઘૂસવાની બાતમી મળતા ફફડાટ : એલર્ટ જારી

ગુજરાતમાં જૈશના 50 ત્રાસવાદી ઘૂસવાની બાતમી મળતા ફફડાટ : એલર્ટ જારી
, મંગળવાર, 10 સપ્ટેમ્બર 2019 (12:07 IST)
દેશના પશ્ચિમી છેવાડાના સીમાવર્તી કચ્છ પ્રદેશના સિરક્રીક વિસ્તારમાંથી’ છોડી જવાયેલી અનેક બોટ મળી આવ્યા બાદ ભારતીય સૈન્યએ એવી બાતમી મેળવી છે કે, ત્રાસવાદીઓ દેશના દક્ષિણી ભાગો પર હુમલા કરી શકે છે. દેશની પશ્ચિમેથી ઘૂસણખોરી કરીને ત્રાસવાદીઓ દક્ષિણ ભારત પર હુમલા કરી શકે, તેવી બાતમી બાદ સેના એલર્ટ થઇ ગઇ છે, તેવું સેનાના દક્ષિણ કમાંડના કમાંડર લેફટનન્ટ જનરલ એસ.કે. સૈનીએ જણાવ્યું હતું.

સૈન્યએ ત્રાસવાદી હુમલાનાં વધેલા જોખમને ગંભીરતાથી ધ્યાને લેતાં ખાસ કરીને કચ્છનાં સિરક્રીક ક્ષેત્રમાં એલર્ટ બનીને જરૂરી પગલાંની કવાયત આદરી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સૈનીએ પુણે નજીક એક કાર્યક્રમ દરમ્યાન પત્રકારો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, સેના દ્વારા ક્ષમતા વર્ધન અને ઘૂસણખોરીના આતંકી પ્રયાસને પહોંચી વળવાની તાકાત વધારવા માટેનો વ્યાયામ શરૂ કરી દીધો છે. તેમણે આત્મ વિશ્વાસપૂર્વક કહ્યું હતું કે, ત્રાસવાદીઓને કચ્છમાંથી ઘૂસી આવીને દક્ષિણ ભારત પર હુમલાનાં નાપાક ષડયંત્રમાં સફળ થવા નહીં દેવાય. પાકિસ્તાને તૈનાત કરેલા એસએસજી કમાંડો કચ્છ સીમાએથી ભારતમાં ઘૂસી આવશે અને ગુજરાતમાં ત્રાસવાદી હુમલા કરાવવા માટે દરિયાઇ રૂટનો ઉપયોગ કરશે, તેવી બાતમીનાં પગલે ગુજરાતનાં બંદરોને હાઇએલર્ટ જારી કરાયાનાં એક પખવાડિયાં પછી સોમવારે ભારતીય સૈન્યના ટોચના કમાંડર તરફથી આ ચેતવણી અપાઇ છે.

આ બાતમી મળતાં કચ્છ સરહદ પર સિરક્રીક ક્ષેત્રમાં સેના સાબદી બની છે, તો દક્ષિણ પર આતંકી ડોળાની બાતમી ધ્યાને લેતાં દક્ષિણ ભારતીય રાજ્ય કેરળમાં પણ પ્રશાસન એલર્ટ કરી દેવાયું છે. કેરળનાં પોલીસ પ્રશાસને તમામ જિલ્લા પોલીસના વડાઓને એલર્ટ જારી કરતાં ખાસ કરીને કાંઠાળ ક્ષેત્રોમાં વિશેષ સાબદા રહીને સતર્ક જાપ્તો રાખવાની સૂચના આપી દીધી છે. બસ સ્ટેશન, રેલવે સ્ટેશન, એરપોર્ટસ, શોપિંગમોલ્સ જેવાં ભરચક, જાહેર સ્થળો પર ખાસ સાવચેત રહેવાનો નિર્દેશ પણ અપાયો છે. બીજી તરફ, આંધ્રપ્રદેશમાં પણ 934 કિ.મી. લાંબા દરિયાકાંઠા પર સુરક્ષાવ્યવસ્થા જડબેસલાક બનાવી દેવાઈ હતી.

કાશ્મીરના મામલે ચોતરફથી પાછું પડી રહેલું પાકિસ્તાન નાસીપાસ થઇને કોઇ મોટું દુ:સાહસ કરે એવા એંધાણો વચ્ચે સરહદોએ તંગદિલી સતત વધતા ભારતીય સલામતી દળો પણ સાબદા બન્યા છે. આ સંદર્ભમાં લશ્કરના ટોચના અધિકારી દ્વારા કચ્છની ક્રિક સરહદેથી મળેલી બિનવારસુ પાકિસ્તાન બોટોના અહેવાલને ટાંકીને ત્રાસવાદી ઘૂસણખોરીની આશંકા વ્યક્ત કરાતાં વિવિધ સ્તરે અટકળોનો દોર આરંભાયો છે. પાકિસ્તાન સરકાર હવે છેલ્લે પાટલે બેસી રહી હોય તેમ જૈશે મહોમ્મદના કુખ્યાત વડા મસુદ અઝહરને મુક્ત કર્યો છે તેની સાથોસાથ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર દળોની જમાવટમાં વધારો કરાઇ રહ્યો છે.

આમ તો આ ઘૂસણખોરી દક્ષિણ ભારતમાં અને તેમાં પણ ખાસ કેરળમાં થવાની હોવાના અહેવાલ લશ્કરને મળ્યા હોવાનું આ ટોચના અધિકારીના વિધાન પરથી જણાય છે. જો કે આ અધિકારીએ કચ્છની સિર ક્રિક વિસ્તારમાં અગાઉ ઝડપાયેલી નધણિયાતી પાકિસ્તાની બોટોનો પણ ઉલ્લેખ કર્યો છે. આ સંદર્ભમાં કચ્છની સલામતી એજન્સીઓએ પોતાનું હોમવર્ક વધુ ઘનિષ્ઠ બનાવ્યું છે. થોડા સમય અગાઉ જૈશ એ મોહમદના 50 ત્રાસવાદી દરિયાની અંદર મરજીવાની તાલીમ લઈ રહ્યા હોવાના અહેવાલોએ પણ ભારતમાં હલચલ મચાવી હતી. આ સંવેદનશીલ સરહદી વિસ્તારમાં તૈનાત સલામતી એજન્સીઓના ટોચના વર્તુળોના મતે લેફ. જનરલ સૈનીની વાતનું મહત્ત્વ તો છે પણ દક્ષિણ ભારતમાં આતંકી હુમલાની આશંકામાં સિર ક્રિકનો ઉલ્લેખ અસ્થાને ગણી શકાય તેમ છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ્યમાં ભારે વરસાદ વચ્ચે જામ્યો ભાદરવી પૂનમનો મેળો, ગુંજ્યો બોલ માડી અંબે ‘જય જય અંબે’નો નાદ