Publish Date: Wed, 22 May 2019 (11:28 IST)
Updated Date: Wed, 22 May 2019 (11:30 IST)
રાજ્યમાં દૂધ અને શાકભાજી બાદ હવે તુવેરની દાળ સહિત અનેક દાળ અને કઠોળના ભાવ આસમાને પહોંચ્યા છે. છૂટક બજારમાં વેચાતી દાળના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો છે. જેમાં તુવેર દાળમાં સૌથી વધુ પ્રતિ કિલોએ 20થી 25 રૂપિયાનો વધારો થયો છે, જ્યારે અડદદાળ, ચણાદાળ અને મગ દાળના ભાવ 10થી 15 રૂપિયા વધ્યા છે. આ ભાવ વધારાથી સૌથી વધારે અસર ગૃહિણીઓના બજેટ પર પડી શકે છેગુજરાતમાં બેફામ વધારાના લીધે દરેક વર્ગની વ્યક્તિના ઘરના બજેટ ખોરવાયા છે. દાળ- કઠોળ, ચોખા, શાકભાજી જેવી રોજિંદા જરૂરિયાતની ચીજ-વસ્તુઓમાં ધરખમ મોંઘવારી જોવા મળી રહી છે. જે તુવેર દાળ પહેલા 65 રૂપિયા પ્રતિ કિલોની આસપાસ મળતી હતી, તે હવે 20થી 25 રૂપિયાના વધારા સાથે 90 રૂપિયા પ્રતિ કિલો સુધી વેચાય રહી છે. આ પહેલા પણ તુવેરની દાળના ભાવમાં વધારો થતો રહ્યો છે. સરકાર દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને રાહત આપવા માટે તુવેર દાળના વિતરણ સસ્તા કઠોળની દુકાન મારફતે શરૂ કરાયું છે, પરંતુ તે સામે અન્ય માર્કેટમાં કઠોળના ભાવમાં બેફામ વધારો કરવામાં આવ્યો છે. હાલમાં દૂધમાં પણ લિટરે 2 રૂપિયા સુધીનો વધારો થયો છે, અને શાકભાજીના ભાવમાં ઘટાડો થાય તેવા કોઇ અણસાર દેખાતા નથી. તો બીજી બાજુ કઠોળના ભાવમાં પણ આટલો મોટો વધારો થતા ગૃહિણીઓના બજેટ પર મોટી અસર પડી શકે તેમ છે. આ વખતે ખેડૂતો દ્વારા કઠોળનું વાવેતર ઓછું થવાથી કઠોળના ભાવમાં અચાનક વધારો થયો હોય તેવું અનુમાન લગાવાય છે.
webdunia
Publish Date: Wed, 22 May 2019 (11:28 IST)
Updated Date: Wed, 22 May 2019 (11:30 IST)