Publish Date: Fri, 09 Jun 2017 (14:41 IST)
Updated Date: Fri, 09 Jun 2017 (14:58 IST)
ગુજરાત કોંગ્રેસના પ્રભારી અશોક ગેહલોત અમદાવાદ આવી પહોંચ્યા છે, ત્યારે આવતાંની સાથે જ તેમણે શંકરસિંહ વાધેલાની નારાજગી અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બાપુ નારાજ નથી અને કોંગ્રેસમાં જ રહેશે. તેઓ બીજા કોઇ પક્ષમાં જોડાવવાના નથી અને કોઇના સંપર્કમાં પણ નથી. વ્યસ્તતાને કારણે તેઓ પક્ષના કોઇ કાર્યક્રમોમાં ગેરહાજર રહ્યાં હશે. ઉલ્લેખનીય છે કે, ગેહલોત કોંગ્રેસના દિગ્ગજના નેતાઓ સાથે આગામી ચૂંટણીની વ્યૂહરચના ઘડવા માટે અમદાવાદ આવ્યા છે, ત્યારે ટિકિટોની વહેંચણીનો મુદ્દો મહત્વનો રહેશે.ગેહલોતે કહ્યું કે MPની ઘટનાને લઈને ગુજરાતમાં પણ નારાજગી છે. MP, રાજસ્થાન, મહારાષ્ટ્ર, ગુજરાતમાં ખેડૂત નારાજ છે. PMએ આપેલા પોષણક્ષમ ભાવનો વાયદો પૂર્ણ કરે. ભૂતકાળમાં UPAની સરકારે ખેડૂતોના દેવા માફ કર્યા છે. ગુજરાતમાં ક્યાંય મોડેલ જેવું નથી. 22 વર્ષ સુધી ગુજરાતનું માર્કેટિંગ કર્યું. વાઈબ્રન્ટમાં કોઈ ઈન્વેસ્ટમેન્ટ નથી આવતું. લઘુ ઉદ્યોગો બંધ થઈ ગયા છે. બીજી બાજુ મંદસૌરમાં ખેડૂતો પર ફાયરિંગના મામલે આજે ગુજરાત કૉંગ્રેસ દ્વારા રાજ્યમાં ઠેર-ઠેર દેખાવો યોજાયા છે. અમદાવાદના મણિનગરમાં કોંગ્રેસ દ્ગારા વિરોધ પ્રદર્શન કરાયું. કોંગી કાર્યકરો દ્ગારા રેલ રોકવાનો પ્રયાસ કરાયો ત્યારે પોલીસ અને કોંગી કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું છે. પોલીસે ભરતસિંહ સહિત કેટલાંક કૉંગી કાર્યકરોની અટકાયત કરી છે. રાજકોટ, સાબરકાંઠા, હિંમતનગર વગેરે જગ્યાએ ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન કર્યાં છે.