Publish Date: Mon, 16 Aug 2021 (08:44 IST)
Updated Date: Mon, 16 Aug 2021 (08:45 IST)
સ્વતંત્રતા દિવસે ભાજપ પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલે ધ્વજવંદન કર્યું હતું. આ દરમિયાન સી.આર પાટીલે ગુજરાતમાં મુખ્યમંત્રી પદના ઉમેદવાર બદલવાની વાત પર પૂર્ણવિરામ મૂકીને આગામી ચૂંટણીમાં પણ સી.એમ રૂપાણીના જ નેતૃત્વમાં ચૂંટણી લડાશે તેમ જણાવ્યું હતું. સી.આર પાટીલે ધ્વજવંદન બાદ ચૂંટણી નેતૃત્વમાં પરિવર્તન મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું કે, "બેઉ સારું કામ કરે છે" આ બંનેના નેતૃત્વમા જ આગામી ચૂંટણી લડીશુ!' જે પરથી સ્પષ્ટ થાય છે કે ભાજપ આગામી વિધાનસભાની ચૂંટણી પણ વિજય રૂપાણી અને નીતિન પટેલના નેતૃત્વમાં જ લડશે.નોંધનીય છે કે ગાંધીનગરમાં પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે 75મા સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગ રૂપે ધ્વજ-વંદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે તીરંગો લહેરાવી રાષ્ટ્રીગીતનું પઠન કરી દેશના 75માં સ્વતંત્રના દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.આ પ્રસંગે ઉપસ્થિત મીડિયાને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે, સ્વતંત્રતાનું 75મું વર્ષએ સમગ્ર દેશ માટે અને દેશના નાગરિકો માટે અમૃત મહોત્સવનું વર્ષ છે. આજે આપણે સૌ ઉલ્લાસ, ઉમંગ સાથે સ્વતંત્રતા માણી રહ્યા છીએ તે સ્વતંત્રતા મેળવી આપવા માટે દેશના લાખો યુવાનોએ પોતાની છાતી પર ગોળીઓ જીલી છે, પોતાની જવાની જેલોમાં સપડાવી છે, માતા બહેનોએ પોતાના યુવાન દિકરા અને ભાઇઓને શહીદ થતા નરી આંખે જોયા છે. તેમણે 75માં સ્વતંત્રા દિવસ નિમિત્તે સૌ ગુજરાતી ભાઇ-બહેનો, યુવાનોને શુભેચ્છા પાઠવી હતી અને વારસામાં મળેલ સ્વતંત્રાને અકબંદ્ધ રાખવા માટે તમામ બનતા પ્રયત્ન કરવાની અપીલ કરી હતી.