Publish Date: Mon, 22 Jul 2019 (15:16 IST)
Updated Date: Mon, 22 Jul 2019 (15:17 IST)
રાજ્યનું કુલ મત્સ્ય ઉત્પાદન વર્ષ ૨૦૧૫-૧૬માં ૮.૧૦ લાખ મે. ટન હતું તે વધીને વર્ષ ૨૦૧૭-૧૮માં ૮.૩૯ લાખ મે. ટન થયું છે જેની અંદાજિત કિંમત રૂ. ૬૬૬૩.૭૩ કરોડની થવા જાય છે. રાજ્યએ વર્ષ ૨૦૧૭-૧૮માં મત્સ્ય નિકાસ થકી રૂ. ૫૦૭૧.૦૫ કરોડનું વિદેશી હૂંડિયામણ પ્રાપ્ત કર્યું, જે દેશના કુલ મત્સ્ય નિકાસના ૨૩ ટકા જેટલી છે. ગુજરાત વિધાનસભામાં તાજેતરમાં જ કૃષિ પ્રધાન આર.સી. ફળદુએ જણાવ્યું હતું કે, મત્સ્ય વિભાગ દ્વારા પાકિસ્તાનમાં પકડાયેલા માછીમારોની મુક્તિ તેમજ તેમના પરિવારને આર્થિક નિર્વાહન માટે જે દિવસે માછીમાર મુક્ત કરવામાં આવે છે ત્યાં સુધીના સમયગાળા માટે દૈનિક રૂપિયા ૧૫૦ જે અગાઉ ચૂકવવામાં આવતા હતા તે બમણા કરી દૈનિક ધોરણે રૂપિયા ૩૦૦ કરવામાં આવ્યા છે. આ કામગીરી હેઠળ વર્ષ ૨૦૧૮-૧૯માં રૂપિયા ૨૦૧.૨૨ લાખની સહાય કરવામાં આવી હતી જે વર્ષ ૨૦૧૯-૨૦ માટે રૂપિયા ૨.૫૦ કરોડની જોગવાઈ કરાઈ છે. આ સાથે રાજ્યમાં ડીપ-સી ફિશિંગના વિકાસ માટે વર્ષ ૨૦૧૯-૨૦માં રૂપિયા ૫૦ કરોડની જોગવાઈ કરવામાં આવી છે. આ અંતર્ગત ૧૩૫ ડિપ-સી ફિશિંગ યુનિટને મંજૂરી આપવામાં આવેલ છે. ભાંભરાપાણી મત્સ્ય ઉદ્યોગના વિકાસની જુદી-જુદી યોજનાઓ માટે રૂ.૮.૮૧ કરોડ ફાળવાયા છે.