Publish Date: Sat, 29 Aug 2020 (11:57 IST)
Updated Date: Sat, 29 Aug 2020 (12:05 IST)
કેન્દ્રીય ચૂંટણી પંચે ચૂંટણીના આયોજન સંદર્ભે બહાર પાડેલી માર્ગદર્શિકાને લઇને ગુજરાતના મુખ્ય ચૂંટણી અધિકારીએ પોતાની યાદી બહાર પાડી છે. આ યાદી અનુસાર ચૂંટણી સભામાં ભાષણ સાંભળવા આવનારા શ્રોતાઓમાં ભીડ થાય અને સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય તો તેઓ દંડાશે. આ માર્ગદર્શિકા અનુસાર ઉમેદવાર ઘરે-ઘરે અન્ય ચાર વ્યક્તિઓ સાથે રહીને પ્રચાર કરી શકશે. આ ઉપરાંત રોડ-શો માટે પાંચ જ વાહનો વચ્ચે ચોક્કસ અંતર રાખીને જવું તથા પ્રચારસભામાં મેદાન કે સ્થળની ક્ષમતા નક્કી કરી તેટલાં જ પ્રમાણમાં લોકોને આવવા દેવા માટે પોલિસ અને અન્ય પ્રશાસનિક અધિકારીઓએ વ્યવસ્થા કરવાની રહેશે. પરંતુ જો સોશિયલ ડિસ્ટન્સિંગ ન જળવાય અને વધુ ભીડ ભેગી થાય તો આઈપીસીની 188 કલમ હેઠળ દંડવાની વાત પણ કરાઇ છે. જો કે આ દંડ રેલીના આયોજકોને કરવો તેવી સ્પષ્ટતા નથી તેથી ભીડમાં બેસેલાં શ્રોતાઓ જ દંડાશે. આ ઉપરાંત ચૂંટણી કામમાં રોકાયેલા સરકારી કર્મચારી ઉપરાંત 80થી વધુ વયના વૃદ્ધ, દિવ્યાંગ, આવશ્યક સેવા સાથે સંકળાયેલા લોકો, કોરોના દર્દીઓ, ક્વોરન્ટીઇન થયેલા કે શંકાસ્પદ લોકો પોસ્ટલ બેલટથી મત નાખી શકશે. ઉમેદવારોએ પોતાનું નામાંકન ઓનલાઇન ભરી તેની સાથે સોગંદનામું અને અન્ય દસ્તાવેજો તથા નામાંકન ફી પણ ઓનલાઇન જ ભરવાના રહેશે. ત્યારબાદ તેની પ્રિન્ટ નોટરાઇઝ કરાવી ચૂંટણી અધિકારી સમક્ષ માત્ર બે વ્યક્તિની હાજરીમાં ભરવાનું રહેશે.