Publish Date: Mon, 23 Mar 2020 (15:02 IST)
Updated Date: Mon, 23 Mar 2020 (15:01 IST)
ગુજરાતમાં વધતા જતા કોરોનાના કેસોને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ એરપોર્ટ પર છેલ્લા એક મહિનામાં ઉતરેલા 27 હજારથી વધુ મુસાફરોની સંપૂર્ણ યાદી તૈયાર કરીને જેતે મુસાફરોના ઘરે જઈને તમામને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યા છે. અમદાવાદમાં પણ 48 વોર્ડમાં કોર્પોરેશન દ્વારા આવા મુસાફરોની યાદીના આધારે તેમના ઘરે જઈને ખાસ સ્ટીકર લગાડીને 14 દિવસ સુધી તેઓને ઘરમાં જ લોકડાઉન કરવામાં આવશે. અને આવા મુસાફરોના પરિવારના સભ્યોને પણ ક્વોરન્ટાઇનમાં રાખવામાં આવશે. હોમ ક્વોરન્ટાઇન હેઠળ રહેલા લોકો બહાર ફરતા હોવાની મોટા પાયે ફરિયાદો મ્યુનિ.ને મળી રહી છે. ઠેર ઠેર આ મુદ્દે ઘર્ષણ પણ સર્જાયા હોવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે હવે મ્યુનિ.એ અત્યાર સુધી ક્વોરન્ટાઇન કરાયેલા 1 હજાર જેટલા લોકોના ઘરે ક્વોરન્ટાઇન વિસ્તાર ઘોષિત કરવાના બોર્ડ તૈયાર કરવામાં આવ્યા છે. આ માટે મ્યુનિ.ની ઝોન વાર ટીમો તૈયાર કરાઈ છે અને તમામ લોકોના ઘરે ઘરે જઈને કોઈએ પણ મળવું નહીં તેવા સ્ટીકરો ચોંટાડવામાં આવી રહ્યા છે. તેમજ જેતે સોસાયટીઓ તેમજ વિસ્તારોને પણ સેનિટાઈઝ કરવામાં આવી રહ્યા જેના લીધે અન્ય લોકોને ચેપ લાગે નહીં.