Publish Date: Mon, 14 Jun 2021 (12:15 IST)
Updated Date: Mon, 14 Jun 2021 (12:16 IST)
દેશભર સહિત રાજ્યમાં કોરોના મહામારીએ હાહાકાર મચાવ્યા બાદ હવે લોકો માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યમાં કોરોના વાયરસના કેસમાં સતત ઘટાડો થઈ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 500 ની નીચે કોરોનાના કેસો પહોંચી ગયા છે. તો બીજી તરફ મોતના આંકડામાં પણ સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ચાર મહાનગરોમાં પણ હવે કોરોનાના નવા કેસમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં આજે પણ કોરોના કેસમાં ઘટાડો નોંધાયો છે. રાજ્ય સરકાર દ્વારા સતત કોરોના વેક્સીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 455 નવા કોરોના કેસ નોંધાયા છે. તો બીજી તરફ માત્ર 1063 લોકો કોરોનાને માત આપીને સાજા થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,88,075 દર્દીઓ કોરોનાને માત આપી ચુક્યા છે. જો કે, રાજ્યનો રિકવરી રેટ વધીને આજે 97.53 ટકાએ પહોંચ્યો હતો.
રાજ્યમાં એક્ટિવ કેસની વાત કરીએ તો કુલ 10,249 એક્ટિવ દર્દી છે, જે પૈકી 253 લોકો વેન્ટિલેટર પર છે અને 9,996 લોકો સ્ટેબલ છે. જો કે, રાજ્યમાં કુલ 8,00,075 લોકો ડિસ્ચાર્જ થયા છે. 9,997 લોકોનાં મોત નિપજ્યાં છે. આજે રાજ્યમાં કોરોનાને કારણે અમદાવાદ કોર્પોરેશનમાં 2 અને વડોદરા કોર્પોરેશનમાં 1 અને સુરત કોર્પોરેશનમાં 1 દર્દીનું મોત થયું છે.
આ ઉપરાંત દેવભૂમિ દ્વારાકામાં 1 અને સાબરકાંઠામાં 1 દર્દીનું મોત થયું છે. આ સાથે રાજ્યમાં કુલ 6 દર્દીઓના મોત થયા છે. ઉલ્લેખનીય છે કે, વેક્સીનેશનમાં ગુજરાત નોંધપાત્ર સિદ્ધિ હાંસલ કરી રહ્યું છે. આજે એક જ દિવસમાં 2,34,501 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.