Publish Date: Mon, 10 Aug 2020 (15:28 IST)
Updated Date: Mon, 10 Aug 2020 (15:30 IST)
ઈન્ડિયન મેડિકલ એસોસિયેશન ના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના મહામારી ના કારણે 23 જેટલા તબીબોના મોત થયા છે, જેથી તબીબી આલમમાં શોક અને ચિંતાની લાગણી ફેલાઈ ગઈ છે. મૃત્યુ પામનાર તબીબો 50 વર્ષ કરતાં વધુ ઉમરના હતા.હવે આઈએમએ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ એવી રજૂઆત પણ કરવામાં આવી છે કે સરકારી તબીબોની સાથે ખાનગી તબીબોને પણ સહાય કે વળતર આપવુ જોઈએ. કેટલાંક મૃત્યુ પામેલા તબીબો ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સાથે સંકળાયેલા ન હોવાના કારણે તબીબોના મૃત્યુની સંખ્યા વધુ પણ હોઈ શકે છે.કોરોના મહામારી માં પોતાની સુરક્ષાની ચિંતા કર્યા વગર કોરોના જેવી ગંભીર બિમારીથી પિડાતા દર્દીઓને સાજા કરવાનાં પ્રણ સાથે ડોક્ટરો જે રીતે કાર્ય કરી રહ્યા છે અને દર્દીઓને બચાવવા માટે પોતાના જીવ જોખમમાં મુકીને કોરોના સાથે સામ સામે સંઘર્ષ કરી રહેલા ડોક્ટરોની દેશભક્તિની લાગણી જોતા આંખો નમ થઈ ગઈ છે. ડોક્ટરો જ એક માત્ર છે જે કોરોનાના સંપર્કમાં સીધે સીધા હોય છે અને કોરોના જ્યારથી કહેર મચાવી રહ્યો છે ત્યારથી આવા મહાન ડોક્ટરો સતત કોરોનાની વચ્ચે રહી લોકોને જીવન આપવાનું કાર્ય કરી રહ્યા છે એમાં રાજ્યએ પણ દેશભક્ત ડોક્ટરોને ગુમાવ્યા છે. આ અંગે પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ટ્વીટ કરીને દિવંગત ડો. અશોક કાપ્સેની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને ક્હયુ હતુ કે તેમણે મેડિકલ ક્ષેત્રમાં સુરતને ઇન્ટરનેશનલ સ્તરે રિપ્રેઝેન્ટ કર્યા છે અને તેમનાં નિધનથી તબીબી જગતને બહુ મોટી ખોટ પડી છે. તેમણે કોરોના વાયરસ સંદર્ભમાં માહિતી એકત્ર કરીને રિસર્ચ માટે અમેરિકામાં વાયરોલોજી ઇન્સ્ટિટ્યુટમાં એક રિપોર્ટ મોકલ્યો હતો.