Publish Date: Fri, 31 Jul 2020 (17:11 IST)
Updated Date: Fri, 31 Jul 2020 (17:11 IST)
રાજકોટમાં કોરોના પોઝિટિવ કેસોને પગલે મુખ્યપ્રધાને આરોગ્યની ટીમ સાથે રાજકોટમાં રિવ્યુ બેઠક લીધી અને આ બેઠકમાં ટેસ્ટીંગ વધારવા માટે આદેશ આપવામાં આવ્યો. જો કે મુખ્યપ્રધાનના આદેશ રાજકોટના વહીવટી વિભાગ ઘોળીને પી ગયા હોય તેવો ઘાટ ઘડાયો છે. છેલ્લા એક સપ્તાહથી જે ટેસ્ટીંગ કરવામાં આવ્યા તેના બમણાં કરવાને બદલે તેને ઘટાડવામાં આવ્યા છે. એટલે કે જે દિવસે મુખ્યપ્રધાને સૂચના આપી તે દિવસે આરોગ્ય વિભાગે સપ્તાહના એવરેજ ટેસ્ટીંગ કરતા અડધા ટેસ્ટીંગ કર્યા હતા. વિરોધ પક્ષે તંત્ર દ્રારા મુખ્યપ્રધાનના હોમ ટાઉનમાં કેસ ઓછા દેખાડવા માટે આંકડાની માયાજાળ તૈયાર કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.આ તરફ મેયરે સબ સલામત હોવાનો દાવો કર્યો અને શહેરમાં પુરતા પ્રમાણમાં ટેસ્ટીંગ થતા હોવાનું જણાવ્યુ હતુ સાથે સાથે સીએમની સૂચનાનું પાલન થશે અને આ માટે જરૂરી સૂચના આપવામાં આવશે તેવુ પણ જણાવ્યુ હતું.આ અગાઉ મોતના આંકડાઓમાં પણ વિસંગતતા જોવા મળી હતી. હવે ટેસ્ટીંગ સાઇઝ સામે પણ સવાલ ઉઠી રહ્યો છે. અત્યાર સુધી શહેરમાં એવરેજ 50 થી 55 પોઝિટિવ કેસ સામે આવે છે જેનાથી કેસ વધતા નથી ત્યારે ટેસ્ટીંગ અને પોઝિટિવ દર્દીઓની સંખ્યાને લઇને જરૂરથી સવાલો ઉઠી રહ્યા છે. હવે એ પણ જોવાનું રહેશે કે ટેસ્ટિંગ વધારવાથી રાજકોટમાં પોઝિટિવ કેસની સંખ્યા કેટલી આવે છે.