Publish Date: Fri, 17 Jul 2020 (12:26 IST)
Updated Date: Fri, 17 Jul 2020 (12:28 IST)
સુરત શહેરમાં કોરોનાની વકરતી જતી સ્થિતિને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારની આરોગ્યની ટીમ સમીક્ષા કરવા આવી છે. ગઈકાલે સ્થાનિક અધિકારીઓ સાથે ચર્ચા કર્યા બાદ આજે સુરત સિવિલ હોસ્પિટલ અને અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત શરૂ કરી છે. ચાર સભ્યોની ટીમમાં નીતિ આયોગના સભ્ય વિનોદ પોલ, ICMRના ડાયરેકટર જનરલ બલરામ ભાર્ગવ, એઈમ્સના ડિરેક્ટર રણદીપ ગુલેરીયા અને આર.પી. આહુજા એડિશનલ સેક્રેટરી હેલ્થ એન્ડ ફેમિલી ડિપાર્ટમેન્ટ આવ્યાં છે. જેઓએ આજે સિવિલ હોસ્પિટલમાં બેઠક યોજી અને તબીબો અને મેડિકલ સ્ટાફને સેવાની ખામીઓ નિવારવા સૂચન કર્યું છે. સાથે જ તબીબોને પડી રહેલી મુશ્કેલીઓ અંગે ચર્ચા કરવામાં આવી છે. સુરતમાં કોરોનાના કારણે 400થી વધુ મૃત્યુ થવા ઉપરાંત પોઝિટિવ કેસ 7900 ઉપર થઈ ગયા છે. સુરતની સ્થિતિ ગંભીર બનતા કેન્દ્રના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓની ટીમ સુરત આવી પહોંચી છે.સુરતની કૉવિડ હોસ્પિટલમાં કામ કરતા મુખ્ય તબીબો અને કેન્દ્રીય ટીમ વચ્ચે બેઠક શરૂ થઈ હતી. જેમાં કોરોનાની સારવાર કરી રહેલા લોકોની મુશ્કેલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. આ ઉપરાંત સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે ખામીઓ છે. તેને નિવારવા માટે સૂચન કરાયા હતા. કોરોનાની સારવાર કરી રહેલા ડૉક્ટર અને નર્સમાં સંક્રમણ વધી રહ્યું છે. તેની પણ ફરિયાદ કરી હતી. કૉવિડ હોસ્પિટલની મુલાકાત બાદ સ્થાનિક અધિકારીઓ સાથે કેન્દ્રની ટીમ કોરોના પોઝિટિવ કેસ વધુ છે. તેવા અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત કરશે.