Publish Date: Thu, 02 Apr 2020 (13:58 IST)
Updated Date: Thu, 02 Apr 2020 (13:59 IST)
સાબરમતી જેલમાં હાઈ સિકયુરિટી ઝોનમાં કેદીઓ વચ્ચે મારામારી થઈ હોવાની ઘટના બની હતી. પોલીસ કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા હત્યા કેસના આરોપી મનીષ બલાઈ સહિતના ચાર કેદીઓ વચ્ચે મારામારી થઈ હતી. આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનમાં સામ સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સાબરમતી સેન્ટ્રલ જેલમાં આવેલી બેરેક નંબર 2માં હત્યા કેસના કેટલાક આરોપીઓને રાખવામાં આવ્યા છે. બુધવારે સવારે બેરેકમાં જમવાનું આપવામા આવતું હતું. મૂળ રાજકોટનો અને હાલમાં હત્યા કેસમાં સાબરમતી સેન્ટ્રલ જેલમાં બંધ અબ્બાસ ઘાંચી જમવાનું લેવા ગયો ત્યારે અન્ય કેદીઓ રોનક રાવળ , કમલેશ શેટ્ટી સહિતના કેદીઓએ રાજકોટવાળાએ અહીંયા જમવાનું નહીં અમારે ગરમ ખાવાનું તમારે ઠડું કહી ગાળો બોલવા લાગ્યા હતા. ગાળાગાળી કરવાની ના પાડતા બંનેએ અબ્બાસને માર માર્યો હતો. શકિતસિંહ અને ચેતન રાવળ સહિતના કેદીઓ વચ્ચે છોડાવવા આવતા તેમને પણ માર માર્યો હતો. અબ્બાસને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડતા તેને હાથમાં ફેક્ચર થયું હતું. બીજી તરફ રોનક રાવળે ફરિયાદ કરી હતી કે, અન્ય કેદીઓ જમતા હતા ત્યારે અબ્બાસ સહિતના ચાર કેદીઓએ પાછળથી આવી માથામાં પહેરવાની ટોપી મારી હતી અને લાતો મારી હતી. રાણીપ પોલીસે સામ સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.