Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિક્રમ જનક લાંબી સારવારનો પ્રથમ કિસ્સો: કોરોનાના લીધે બગડી ગયેલા ફેફસાં માટે ૧૧૯ દિવસ સારવાર લઇ થયા સ્વસ્થ

વિક્રમ જનક લાંબી સારવારનો પ્રથમ કિસ્સો: કોરોનાના લીધે બગડી ગયેલા ફેફસાં માટે ૧૧૯ દિવસ સારવાર લઇ થયા સ્વસ્થ
, શુક્રવાર, 27 ઑગસ્ટ 2021 (12:35 IST)
કોરોના કાળમાં મધ્ય ગુજરાતની સહુ થી મોટી સયાજી હોસ્પિટલે જીવલેણ કોરોનાની સમર્પિત સારવાર કરીને દર્દીઓની જીવન દોર લંબાવવાની અનેક યશસ્વી ગાથાઓ આલેખી છે. આજે નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના ગભાણા ગામના પુષ્પાબેન તડવીને કોરોના અને તેના લીધે ફેફસાની થયેલી ખાનાખરાબી માં થી મુક્ત કરીને ટીમ સયાજીએએ યશ ગાથામાં વધુ એક યશસ્વી પ્રકરણ ઉમેર્યું છે.
 
આ પુષ્પાબેન તા.૩૦ મી એપ્રિલ થી ૨૬ મી ઓગસ્ટ સુધી,લગભગ ૧૧૯ દિવસ પ્રથમ સમરસ અને પછી સયાજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રહ્યાં. આ પૈકી લગભગ ૭૭ દિવસ તેઓ વેન્ટિલેટર પર રહ્યા.વિક્રમજનક લાંબી અને સમર્પિત સારવારનો આ કિસ્સો ગુજરાતની સરકારી હોસ્પિટલોના સારવાર સેવાના ઇતિહાસમાં અનન્ય ગણાશે એ નિશ્ચિત છે.
 
આ દર્દીને તા.૩૦ મી એપ્રિલ ના રોજ સમરસ હોસ્પિટલમાં કોરોના સંક્રમિત હાલતમાં દાખલ કરવામાં આવ્યા ત્યારે તેમની હાલત ખુબ ગંભીર હતી અને ફેફસાં ને લગભગ ૮૫ ટકા નુકશાન થઈ ચૂક્યું હતું તેવી જાણકારી આપતાં કોરોના વિભાગના વહીવટી નોડલ અધિકારી ડો.બેલીમ ઓ.બી. એ જણાવ્યું કે તેમનો કોરોના સંબંધી આરટીપીસીઆર રિપોર્ટ તો મે મહિનામાં જ નેગેટિવ થઇ ગયો હતો..જો કે કોરોનાને લીધે તેમના ફેફસાં લગભગ બિન કાર્યક્ષમ થઈ ગયાં હોવાથી વેન્ટિલેટર સારવાર જરૂરી હતી.
 
૧૧ મી જૂને દર્દીઓ ઘટી જતાં સમરસ વિસ્તરણ સુવિધા બંધ થઈ જતાં, પુષ્પાબેનને છેલ્લા દર્દી તરીકે સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. અહીં તેમની રેસપીરેટરી આઈ. સી. યુ.( આર. આઈ. સી. યુ.) માં ડો.જયંત ચૌહાણની ટીમની દેખરેખ હેઠળ વેન્ટિલેટર સારવાર આગળ ધપાવવામાં આવી. આ ટીમના ડો.પીંકેશ રાઠવા, ડો.પ્રિયંકા પટેલ, ડો. અસલમ ચૌહાણ અને નર્સિંગ તથા સહાયક સ્ટાફે નવજીવન આપવાના સંકલ્પ સાથે તેમની અવિરત સારવાર કરી દર્દીનું મનોબળ વધાર્યું.
 
તેમના બગડેલા ફેફસાં સુધારવા,નવેસર થી કાર્યરત કરવા,ફેફસાં નું બ્લડ પ્રેશર ઘટાડવા, ફાઇબ્રોસીસ નું નિવારણ કરીને તેમને પુનઃ મજબૂત અને કાર્યક્ષમ કરવા મોંઘી એન્ટીબાયોટિક દવાઓ અને ઈન્જેકશન આપ્યા.
 
આખરે તેમની જહેમત અને યમદૂતો સામે પુષ્પાબેનની મક્કમ લડત રંગ લાવી અને આજે તેઓ સ્વસ્થ અને તંદુરસ્ત થઈને,નવજીવન પામીને હોસ્પિટલમાં થી વિદાય થયા ત્યારે ભાવસભર વાતાવરણ સર્જાયું હતું.દર્દી અને સ્વજનોની આંખોમાં આભારના આંસુ મોતીની જેમ તગતગતા હતા, તો ડોક્ટરો અને સ્ટાફની આંખોમાં કોઈનું જીવન બચાવવાની મહેનત લેખે લાગ્યાના હર્ષની ભીનાશ હતી.
 
૩૮ વર્ષની વયના આ દર્દી તલાટી તરીકે સરકારના સેવક છે. આંખો બંને તરફ ભીની હતી માત્ર કારણો જુદાં હતા. પુષ્પાબહેનને કોરોના અને સંલગ્ન બીમારી સામે જિંદગીનો જંગ જીતાડી ટીમ સયાજી એ ફરી એકવાર સરકારી આરોગ્ય સેવાના બેમિસાલ સમર્પણની તાકાતનો દાખલો બેસાડ્યો છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શું તમે જાણો છો વડોદરામાં લાયસન્સ નંબર જી/૭૨૯ કોનો છે અને શા માટે આપવામાં આવ્યો છે..?