Publish Date: Wed, 24 Jun 2020 (13:01 IST)
Updated Date: Wed, 24 Jun 2020 (13:04 IST)
રાજ્ય સભાની ચૂંટણી દરમિયાન કૉંગ્રેસના ઉમેદવાર અને નેતા ભરતસિંહ સોલંકી સાથે સતત હાજર રહેલા કૉંગ્રેસના અગ્રણી મૌલિન વૈષ્ણવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાવતા તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, પહેલા તેમનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરંતુ બાદમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તેમને સારવાર માટે માંજલપુર બેંકર હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. તેઓ જ્યાં દાખલ છે ત્યાં જ પૂર્વ ગુજરાત કૉંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી કોરોનાની સારવાર લઈ રહ્યા છે.પ્રદેશના પૂર્વ ઉપાધ્યક્ષ મૌલિન વૈષ્ણવ રાજ્ય સભાની ચૂંટણી વખતે સતત ભરતસિંહની સાથે જોવા મળ્યા હતા. દરમિયાન તેમને કોરોનાના લક્ષણો જણાતા તેઓ વડોદરાની બેન્કર્સ હૉસ્પિટલમાં ક્વૉરન્ટાઇન થયા હતા. અહીં તેમનો કોરોનાનો રિપોર્ટ કરવામાં આવતા પહેલા રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો. જોકે, હવે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હવે અહીં જ તેમની સારવાર શરૂ કરી દેવામાં આવી છે.રાજ્યમાં તાજેતરમા જ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણી બાદ કૉંગ્રેસના ઉમેદવાર ભરતસિંહ સોલંકીને કોરોના વાયરસ થતા હાહકાર મચી જવા પામ્યો છે. ગાઇડલાઇન પ્રમાણે સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવેલા લોકોએ ક્વૉરન્ટીન થવું અનિવાર્ય છે. જે અનુસંધાને લગભગ એકાદ ડઝન જેટલા અધિકારી-નેતાઓ અને હોદ્દાદારોના સમૂહને ક્વૉરન્ટીનમાં જવાની ફરજ પડી છે. સમાચાર આવતાની સાથે જ સૌથી પહેલાં રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ ક્વૉરન્ટીન થયા હતા ત્યારબાદ હવે મુખ્ય ચૂંટણી અધિકારી સહિતના અધિકારીઓ ક્વૉરન્ટીન થયા છે.