Publish Date: Mon, 15 Feb 2021 (13:08 IST)
Updated Date: Mon, 15 Feb 2021 (14:35 IST)
સીએમ વિજય રૂપાણી રવિવારે વડોદરામાં એક રેલીને સંબોધિત કરતાં મંચ પર બેભાન થઇ ગયા હતા, ત્યારબાદ તેમને અમદાવાદ લઇ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વિજ્ય રૂપાણીને મંચ પર પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. પછી તે પોતે મંચની સીડીઓ ઉતરતાં જોવા મળ્યા હતા.
ત્યારબાદ મુખ્યમંત્રીને હેલીકોપ્ટરમાં વડોદરાથી અમદાવાદ લઇ જવામાં આવ્યા અને યૂ એન મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. સીએમઓ દ્રારા જાહેર કરવામાં આવેલા વ્યક્તવ્ય અનુસાર પ્રધાનમંત્રીએ ફોન કરી વિજય રૂપાણીના સ્વાસ્થ્ય વિશે જાણકારી લીધી હતી. નરેન્દ્ર મોદીએ વિજય રૂપાણીને નિયમિત તપાસ કરાવવા અને આરામ કરવા માટે કહ્યું હતું.
ત્યારે તાજેતરમાં સીએમઓ દ્રારા જણાવવામાં આવ્યું છે કે કે મુખ્યમંત્રી વિજય રૂપાણીના તમામ મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જે નોર્મલ હતા. જ્યારે કોરોના માટે આરટી-પીસીઆર ગઇકાલે રાત્રે લેવામાં આવ્યો હતો. જેનો રિપોર્ટ આજે સવારે પોઝિટિવ આવ્યો હતો. તેમને કોરોનાના હળવા લક્ષણ જોવા મળ્યા છે.
મુખ્યમંત્રીના સંપર્કમાં આવેલા સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છના સાંસદ વિનોદ ચાવડા પણ કોરોનાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીને પગલે ભાજપની પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠક મળી હતી. આ બેઠકમાં મુખ્યમંત્રી સાથે હાજર રહેલા સંગઠન મંત્રી ભીખુ દલસાણીયા અને વિનોદ ચાવડા પણ સંક્રમિત થયા છે.